કચ્છના વરજડી ગામના ભીમાણી પરિવારના પુત્ર સચિન પોતાના ઘર આગળ જ બનાવવામાં આવેલા તબેલામાં ઇલેક્ટ્રિક મશીનથી ગાય દોહતો હતો ત્યારે વીજ-કરંટ લાગતાં તેનું ઘટનાસ્થળે મૃત્યું થયું હતું.
કચ્છના વરજડી ગામનો અનોખો કિસ્સો
પુત્રવધૂના કરાવ્યા દત્તક દીકરા સાથે લગ્ન
ભીમાણી પરિવારના દીકરાનું થયું હતું અવસાન
કચ્છના માંડવી તાલુકાના વરજડી ગામમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વરજડી ગામમાં રહેતા ઇશ્વરભાઇ ભીમાણી પત્ની માલતીબેન, પુત્ર સચિન, પુત્રવધૂ મિત્તલ તથા બે પૌત્ર ધ્યાન અને અંશ સાથે સાથે રહેતા હતા. જો કે દીકરા સચિનનું અકાળે અવાન થતા ભીમાણી પરિવાર પર આભ તટી પડ્યું હતું. ત્યારે વહુએ સાસુ-સસરાને છોડીને ન જવાનો નિર્ણય કર્યો. ત્યારે સામે પરિવારે એક એવો નિર્ણય કર્યો જેની લોકો સરાહના કરી રહ્યાં છે. જેમાં ઈશ્વરભાઈએ સાબરકાંઠા જિલ્લાના વડાલી કંપા ગામે રહેતા 35 વર્ષના યોગેશ છાભૈયાને પુત્ર તરીકે દત્તક લીધો અને તેની સાથે પુત્રવધૂના ધામધૂમથી લગ્ન કરાવ્યા. આ અંગે દત્તક પુત્ર યોગેશે કહ્યું કે હું મારા પરિવારને સાચવવાનો પૂરતો પ્રયાસ કરીશ. તો મિત્તલબેને કહ્યું કે મારા સસરાએ મને પહેલા કહ્યું તો મેં ના પાડી હતી. પરંતુ યોગેશને મળી મને યોગ્ય લાગ્યું એટલે મેં લગ્નની હા પાડી.
શું છે સમગ્ર ઘટના?
વરજડી ગામમાં રહેતા કડવા પાટીદાર ઈશ્વરભાઈ ભીમાણીના પરિવારમાં આશરે નવ મહિના પહેલાં સપ્ટેમ્બર-2021માં પુત્ર સચિન પોતાના ઘર આગળ જ બનાવવામાં આવેલા તબેલામાં ઇલેક્ટ્રિક મશીનથી ગાય દોહતો હતો ત્યારે વીજ-કરંટ લાગતાં તેનું ઘટનાસ્થળે મૃત્યું થયું હતું. અચાનક બનેલા આ બનાવમાં મૃતકના માતા પિતા, પત્ની મિત્તલ તથા બે પૌત્ર ધ્યાન અને અંશ નોંધારા બની ગયા હતા. ઘણો સમય એકલવાયું જીવન વિતાવ્યા બાદ ઈશ્વરભાઈએ પુત્રવધૂ મિત્તલના ફરી લગ્ન કરાવવાનો વિચાર આવ્યો હતો પણ મિત્તલને પોતાના બંને પુત્રોને પણ સાથે લઈ જવાની શરત મૂકી હતું આ તરફ ઈશ્વરભાઈને પુત્રવધૂ મિત્તલ અને પૌત્રો સાથે અતૂટ નાતો બંધાઈ ગયો હતો તેમણે પૌત્રો સાથે દીકરી જેવી વહુ પણ ઘરે જ રહે એવું નક્કી કર્યું. અને કોઈને દત્તક લેવાની તપાસ શરૂ કરી હતી.
યુવકને દત્તક લઇ પુત્રવધૂના લગ્ન કરાવ્યા
ઘણી પૂછપરછ કરતાં મૂળ કચ્છના આણંદસર ગામના અને હાલ સાબરકાંઠાના વડાલી ગામે રામજિયાની નામનું ફાર્મ ધરાવતા ઇશ્વરભાઇ પેથાભાઇ છાભૈયાના પરિવાર સાથે સંપર્ક થયો. છાભૈયા પરિવારના 35 વર્ષીય પુત્ર યોગેશ સાથે અમે વાત કરી કે આ બહુ કઠિન છે, કારણ કે તારે સન્યાસીની જેમ બધું મૂકીને અહીં આવવું પડશે. અહીં આવ્યા પછી પણ ઘણી જવાબદારી છે. આવું કહ્યા બાદ પણ યોગેશ બધું સ્વીકારવા તૈયાર થયો પુત્રવધુને પણ યોગેશને સમજવાનો થોડો ટાઈમ આપ્યો જે બાદ બંને એકબીજાને પસંદ આવવા લાગ્યા. પછી બંનેની હા સાથે દીકરાને દત્તક લઈ પુત્રવધુના લગ્ન તેની સાથે કરાવ્યા
VTV ન્યૂઝની ટીમ સાથે વાતચીત કરતા મિતલબેન કહ્યું કે મારે બીજા લગ્ન કરવા ન હતા કારણ કે મારી માથે મારા બાળકોને સાચવવાની જવાબદારી હતી, સાથે જ સાસુ અને સસરાની પણ, મારા સસરાએ આ પ્રસ્તાવ મૂક્યો ત્યારે પહેલા તો મેં રીતસરની ના જ પાડી દીધી હતી. કારણ કે મૈ તેમણે કહ્યું કે કોઈ યુવક આ રીતે આવવા તૈયાર ન હોય, બાદમાં મારા સસરાએ કહ્યું કે એક છોકરો આ રીતે તૈયાર છે. તો મેં તેમની માહિતી લેવા કહ્યું અને યોગ્ય લાગે તો જોઈશું એવું કહ્યું. પછી યોગેશની માહિતી મેળવી તો બધાને સારું લાગ્યું. પછી મેં હા પડી અને લગ્ન થયા. હવે લાગે છે કે મેં હા પાડી એ સારું કર્યું. લગ્ન કર્યા પછી સૂમસામ બનેલું જીવનમાં અજવાળું પથરાયું છે. કારણ કે એકલા રહેવું અને કોઈની સાથે હુંફ સાથે રહેવું તેમાં ઘણો ફર્ક હોય છે.