લોકોને જાગૃત કરવા કાલથી AMCનું ‘મહાઅભિયાન’ શરૂ થવા જઈ રહ્યું છે. સતત ત્રણ દિવસ ચાલનારી સેગ્રિગેશન ટ્રિગર ઈવેન્ટમાં શહેરના તમામ ૪૮ વોર્ડમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરાશે.
આવતીકાલથી શહેરમાં યોજાશે ટ્રિગર ઈવેન્ટ
લોકોને સેગ્રિગેશનની સમજ અપાશે
AMCના અધિકારી-કર્મચારીઓ જોડાશે
આપણું ઘર-આંગણું સ્વચ્છ રહે તે કોને નહીં ગમે? કદાચ એટલા જ માટે દિવાળી અગાઉ હિન્દુ પરંપરા મુજબ ઘરે ઘરે સ્વયંભૂ સ્વચ્છતા અભિયાન હાથ ધરાય છે. વર્ષ દરમિયાન જ્યાં-ત્યાં જામેલાં કરોળિયાનાં જાળાં કહો કે પછી વાસણ-કુસણ, પંખા, ફર્નિચર પર જામેલી ધૂળ સહિતનો કચરો ગણો પણ ગૃહિણીઓ પરિવાર સહિત તેને હોંશે હોંશે દૂર કરીને જાણ્યે-અજાણ્યે ઘરની સ્વચ્છતા પ્રહરી બને છે. આનાથી ઘર-પરિવારની સ્વસ્થતામાં પણ વધારો થાય છે. હવે આ જ બાબત કંઈક આગળ વધીને ગલી, પોળ, ચાલી, સોસાયટી, ફ્લેટ, રોડ અને છેવટે શહેરને સ્વચ્છ રાખવા તરફ જાય તો તેને સોનામાં સુગંધ ભળી તેમ કહી શકાય. નાગરિકો તેમના ઘર-ઓફિસના કચરાને બે અલગ અલગ કચરાપેટીમાં રાખીને મ્યુનિ. તંત્રની કચરાગાડીને આપે તેનો સરળ અર્થ એટલે કે કચરાનું સેગ્રિગેશન. મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસન સ્વચ્છતાના ખાસ આગ્રહી હોઈ અગાઉ આ માટેની ટ્રિગર ઈવેન્ટ શહેરમાં સફળતાપૂર્વક યોજી ચૂક્યા છે અને હવે જાણે કે 'શો મસ્ટ ગો ઓન' હોય તેમ આવતી કાલથી શહેરમાં ટ્રિગર ઈવેન્ટ યોજાવા જઈ રહી હોઈ અમદાવાદીઓએ સ્વચ્છ રહો, સ્વસ્થ રહો એ મંત્રને મેળવવા માટે આમાં ઉત્સાહપૂર્વક જોડાવું જ પડશે.
મ્યુનિ. કમિશનરે ઘરે ઘરે ફરી લોકોને સમજાવ્યા હતા
મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસન દ્વારા વધુને વધુ લોકો પોતાના ઘર-ઓફિસ-દુકાન કે ગોડાઉન વગેરેનો સૂકો અને ભીનો કચરો અલગ તારવીને કચરાગાડીને આપે તે માટે ગત તા. ૧૦, ૧૧ અને ૧ર જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ સમગ્ર અમદાવાદમાં ખાસ ટ્રિગર ઈવેન્ટ યોજાઈ હતી, જેમાં મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસન સહિત ૩૦ હજારથી વધુ અધિકારી-કર્મચારીઓએ ઘેર ઘેર ફરી લોકોને કચરો અલગ આપવા સમજાવ્યા હતા. મોલ, ધાર્મિક સ્થળો, બાગ-બગીચા, હોટલ, રેસ્ટોરાં, શાકમાર્કેટ, પાથરણાંવાળા, શોપિંગ સેન્ટર અને કોમર્શિયલ એકમોની પણ મ્યુનિ. સ્ટાફે મુલાકાત લીધી હતી. શહેરીજનોમાં જાગૃતિ લાવવા હજારો પત્રિકાનું વિતરણ કરાયું હતું.
આવતીકાલથી યોજાશે ટ્રિગર ઈવેન્ટ
હવે લગભગ દોઢ-પોણા બે મહિના બાદ એટલે કે આવતી કાલથી શહેરમાં ત્રણ દિવસની કચરાના સેગ્રિગેશન માટે ટ્રિગર ઈવેન્ટ યોજાવા જઈ રહી છે, જેમાં મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિતના શાસકો, કોર્પોરેટરો, સંસદસભ્યો, ધારાસભ્યો, રાજકીય અગ્રણીઓ, એનજીઓ, સેલ્ફ હેલ્પ ગ્રૂપ અને સેવાભાવી સંસ્થાઓ જોડાશે. આ ટ્રિગર ઈવેન્ટમાં જે તે ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર, આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનર, વોર્ડના ઈજનેર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એસ્ટેટ, ટેક્સ વિભાગ અને અન્ય તમામ વિભાગના અધિકારી-કર્મચારીઓ વગેરેની ટીમ પણ જોડાશે.
લોકોને સેગ્રિગેશનની અપાશે સમજ
સવારના ૭.૦૦થી ૮.૦૦ સુધી વોર્ડના મુખ્ય બાગ-બગીચાઓ, ૮.૦૦થી ૧૦.૦૦ સુધી રહેણાક એકમો, ૧૦.૦૦થી ૧૨.૦૦ સુધી ધાર્મિક સ્થળો, બપોરના ૧.૦૦થી ૪.૦૦ સુધી વાણિજ્યિક વિસ્તારો, મોટા મોલ અને શોપિંગ કોમ્પ્લેક્સ, સાંજના ૫.૦૦થી ૭.૦૦ સુધી શાકમાર્કેટ, હોટલ-રેસ્ટોરાં અને ખાણી-પીણીના એકમો અને સાંજના ૭.૦૦થી ૧૦.૦૦ સુધી મોટી સોસાયટીઓ-વિસ્તારોમાં સમૂહ મિટિંગ કરી લોકોને સેગ્રિગેશનની સમજ અપાશે.
ગઈકાલ સાંજથી ચાલી રહી છે તૈયારી
શહેરના સાતેય ઝોનના તમામ ૪૮ વોર્ડમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવા અંગે મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસન દ્વારા ગઈ કાલે લેખિતમાં આદેશ અપાતાં તમામ વિભાગનો સ્ટાફ આને લગતાં આયોજનને ઘડી કાઢવા માટે ગઈ કાલ સાંજથી તડામાર તૈયારી કરી રહ્યો છે.
ઇન્દોર કરતા પણ આગળ નીકળી જશે અમદાવાદ
દરમિયાન, મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ દ્વારા નાગરિકોને તંત્રની ટ્રિગર ઈવેન્ટમાં હોંશભેર જોડાવાની અપીલ કરાઈ છે. ચેરમેન બારોટ કહે છે, શહેરને ઝીરો વેસ્ટ સિટી બનાવવા માટે સૌએ કદમથી કદમ મિલાવીને કામ કરવું જોઈએ. આપણું અમદાવાદ લવેબલ સિટી, લિવેબલ સિટી તો છે જ, આની સાથે દેશભરમાં વિકાસની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે, તેની સાથે નાગરિકોના સાથ-સહકારથી આંખે ઊડીને વળગે તેવી સ્વચ્છતા મેળવીને આ મામલે ઇન્દોર કરતાં પણ અમદાવાદ આગળ નીકળી જશે.
ઝીરો વેસ્ટ સિટી બનવા તરફ આગળ વધતું અમદાવાદ
અત્રે ઉલ્લેખનીય છે કે કાગળ, કાર્ડબોર્ડ, ખોખાં, બોટલ્સ, પ્લાસ્ટિકની આઇટમ્સ વગેરેનો સમાવેશ સૂકા કચરામાં અને ફળ-શાકભાજીનાં છોતરાં, ચાની ભૂકી, એંઠવાડ, બગડેલાં ફળો જેવા બાયોડિગ્રેબલ કચરાનો સમાવેશ ભીના કચરામાં થાય છે. વર્ષ ૨૦૧૬થી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં સ્વચ્છ ભારત મિશન શરૂ કરાયું છે, જેનો બીજો તબક્કો વર્ષ ૨૦૨૨થી ૨૦૨૬ સુધીનો છે એટલે જ મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસન સ્વચ્છતાના મામલે ખાસ જહેમત ઉઠાવી રહ્યા છે, જે પ્રશંસનીય અભિગમ હોવાથી શહેર 'ઝીરો વેસ્ટ સિટી' બનવા તરફ આગળ ધપી રહ્યું છે.
હવે શહેરીજનોને સોસાયટી દીઠ ૮૦ લિટરનાં બિન અપાશે
શહેરના શાસકો દ્વારા અગાઉ ભૂરા અને વાદળી રંગનાં એક-એક મળી દસ લિટરનાં બે ડસ્ટબિન ઘરે ઘરે નાગરિકોને મફતમાં અપાયાં હતાં. આવાં ૨૦ લાખ ડસ્ટબિનનું વિતરણ થઈ ચૂક્યું હોઈ હવે શાસક પક્ષ સોસાયટીદીઠ ૮૦ લિટરનાં બિન મફત આપશે.