ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક બાળક અને ચાર મહિલાઓના મોત નીપજ્યાં છે. જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગમખ્વાર અકસ્માત
એક બાળક અને ચાર મહિલાઓના મોત
ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં કરાયા દાખલ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગુરુવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાતા પાંચ લોકોના મોત થયા છે. તો ચાર લોકો ઈજાગ્રસ્ત હોવાનું કહેવાય છે. આ અકસ્માત હાંડિયા ટોલ પ્લાઝા પાસે સર્જાયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, એક ટવેરા કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગૂમાવતા કાર ઇલેક્ટ્રિક પોલ (વીજળીના થાંભલા) સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
એક બાળક અને ચાર મહિલાના મોત
કહેવામાં આવી રહ્યું છે કે, અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં એક બાળક અને ચાર મહિલાઓનો સમાવેશ થાય છે. આ લોકો કાનપુરથી વિંધ્યાચલ દર્શન માટે જઈ રહ્યા હતા. ત્યારે કાર બેકાબુ થઈને વીજ પોલ સાથે અથડાઈ હતી. પ્રયાગરાજ પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત સવારે 6.30 વાગ્યે સર્જાયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં કરાયા દાખલ
મૃતકોમાં રેખા, રમેશ, કૃષ્ણા દેવી, કવિતા અને કુમારી ઓજસનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોના નામ ઉમેશ, પ્રિયા, ઋષભ અને ડ્રાઈવર ઈર્શાદ જણાવવામાં આવી રહ્યા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મૃતકોના પરિવારજનોના આ અંગે જાણ કરવામાં આવી છે. આ ગમખ્વાર અકસ્માત પર સીએમ યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું છે.
કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા
આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફૂરચે-ફૂરચા ઉડી ગયા હતા. મળતી માહિતી મુજબ કારના આગળના ભાગમાં ઘણું નુકસાન થયું છે. પોલીસ અકસ્માત અંગે પ્રત્યક્ષદર્શીઓ પાસેથી પણ માહિતી એકઠી કરી રહી છે. જિલ્લાના ડીએમ અને એસપીએ કહ્યું છે કે વહીવટીતંત્ર તરફથી ઈજાગ્રસ્તોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે.