ગુજરાતની એક એવી જગ્યા છે જ્યાં લોકો માનતા પુરી થતા પાણીની બોટલ અને પાણીના પાઉચ ચઢાવે છે. લોકોનું માનવું છે કે અહીં આત્માઓ પાણી ઝંખી રહી છે.
ગુજરાતનું એક અજીબોગરીબ મંદિર
જ્યાં પ્રસાદ નહી પણ પાણીની બોટલ ચઢે છે
મોઢેરા જતા રસ્તામાં આવે છે મંદિર
ગુજરાતમાં એક એવું મંદિર છે જ્યાં લોકો માનતા પુરી થવા પણ શ્રીફળ, પેંડા કે ચૂંદડી નહી પરંતુ પાણીની બોટલ ચઢાવે છે. જી, હા જાણીને થોડી નવાઇ લાગે કે આવું તો હોતું હશે વળી, પરંતુ આ વાત સાચી છે. પાટણમાં એક મંદિર આવેલુ છે જ્યાં લોકો માનતા પુરી કરવા માટે પાણીની બોટલ કે પાણીનું પાઉચ ચઢાવે છે.
માનતા પુરી થતા ચઢે છે પાણીની બોટલ
ગુજરાતના પાટણમાં મોઢેરા જતી વખતે રસ્તા પર જો પાણીની બોટલનો ઢગલો જોવા મળે તો નવાઇ ન પામતા. આ કોઇ વેસ્ટેજ નથી પરંતુ લોકોએ રાખેલી માનતાનું પરિણામ છે. કારણ કે પાટણથી મોઢેરા જતા માર્ગની બાજુમાં એક મંદિર આવેલું છે. થોડી ઇંટોથી એક મંદિર બનાવવામાં આવ્યું છે જ્યાં લોકો પાણની બોટલ ચઢાવે છે. એવું માનવામાં આવે છે કે અહીં જે લોકો માનતા રાખે તેમની મનોકામના પુરી થાય છે.
આ જગ્યા પર 6 લોકોના થયા હતા મોત
એક એવી માન્યતા છે કે વર્ષ 2013ની આ વાત છે. તે સમયે ઓટોમાં કુલ 8 લોકો લગ્નમાં જઇ રહ્યા હતા. જેમાં બે બાળકો પણ સામેલ હતા. જે દરમિયાન ઓટો અને કાર વચ્ચે અકસ્માત થતા 6 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. બે બાળકો બચી જવા પામ્યા હતા.નજીકના ફાર્મ હાઉસમાં કામ કરનાર ચોકીદારે જણાવ્યું હતું કે આ બંને બાળકો અકસ્માત બાદ સતત પાણીની માગ કરતા રહ્યા પરંતુ કોઇએ તેમને પાણી ન આપ્યુ અને બંનેના મોત થઇ ગયા. આ બનાવના થોડા દિવસો બાદ એજ જગ્યા પર અકસ્માતો થવા લાગ્યા હતા.
પ્રસાદ કેમ નહી, પાણીની બોટલ કેમ ?
આથી સ્થાનિકોએ બે બાળકોને દેવતા માનીને ઇંટો મૂકીને મંદિર જેવુ નાનકડુ સ્થાન બનાવ્યું અને તેની પૂજા કરવા લાગ્યા. લોકોની એવી માન્યતા છે કે આમ કરવાથી આસપાસના કૂવાઓમાં જે ખારુ પાણી હતું તે મીઠુ થઇ ગયુ અને રસ્તા પર અકસ્માતો થવાના પણ બંધ થઇ ગયા. બીજી તરફ લોકમાન્યતા એવી પણ છે કે જે લોકો પાણીનો પ્રસાદ લે છે તેમના શરીરના દરેક રોગો દૂર થાય છે. આથી લોકો દૂર દૂરથી અહીં માનતા રાખવા આવવા લાગ્યા. મનોકામના પુરી થવા બદલ 12થી 100 બોટલ પાણી તથા હજારોની સંખ્યામાં પાણીના પાઉચ ચઢાવવામાં આવે છે.