અમદાવાદમાં VTV ન્યૂઝની ટીમે ST નિગમમાં ચાલતા પોલંપોલનું રિયાલિટી ચેક કર્યું છે. રિયાલિટી ચેકમાં ST નિગમની બેદરકારી સામે આવી છે.
VTV ન્યૂઝની ટીમે ST નિગમમાં ચાલતા પોલંપોલનું કર્યું રિયાલિટી ચેક
ઈસ્કોન ચાર રસ્તાના STના કંટ્રોલ પોઈન્ટમાં જોવા મળ્યા વિચિત્ર દ્રશ્યો
કંટ્રોલ પોઈન્ટમાં કર્મચારીના બદલે આસપાસના લારી ગલ્લા વાળાનો હતો સામાન
મુસાફરોને પડતી હાલાતી ST નિગમને દેખાતી નથી?
ગુજરાતની ટ્રાન્સપોર્ટેશનની સૌથી મોટી સર્વિસ એટલે ગુજરાતનું ST નિગમ... ST નિગમ માટે 'સલામત સવારી, ST અમારી' સ્લોગન પણ આપવામાં આવ્યું છે. ST નિગમ માટે દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે. સાથે ST નિગમને કરોડો રૂપિયાની આવક પણ થાય છે. આમ છતાં રાજ્યનું ST નિગમ ખોટમાં ચાલી રહ્યું છે. જેથી VTVની ટીમે STનું રિયાલીટી ચેક કર્યું હતું. જેમાં સૌથી પહેલાં અમારી ટીમે સવારે 9 વાગ્યાની અમદાવાદથી રાજકોટ જતી બસની ઓનલાઈન ટિકિટ બૂક કરાવી હતી. આ ટિકિટ બૂક થયાની સાથે જ ST નિગમની બેદરકારી સામે આવવી શરૂ થઇ હતી.
કન્ટ્રોલ રૂમમાં ગલ્લા વાળાનો હતો સમાન
અમારી ટીમે સવારે 9 વાગ્યાની બસની ટિકિટ બૂક કરાવી હતી. જેથી 8.20 કલાકે અમારી ટીમ ઈસ્કોન ચાર રસ્તાએ પહોંચી ગઈ હતી. જે બસ 9 વાગ્યે આવવાની હતી, તે બસ 9.30 વાગ્યા છતાં ઈસ્કોન ચાર રસ્તાએ પહોંચી નહતી. જેથી અમારી ટીમે અનેક પ્રશ્નો સાથે ST કન્ટ્રોલ કેબિનમાં પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કન્ટ્રોલ રૂમની સ્થિતિ જોઈને અમારી ટીમ સ્તબ્ધ થઇ હતી. કારણ કે, પૂછપરછ કેન્દ્રમાં કોઈ અધિકારી હાજર નહોતા. સાથે પૂછપરછ કેન્દ્ર પાન-પસાલા, ચા બનાવવાનો સામાન અને ફળોથી ખીચોખીચ ભરેલું હતું.
ST નિગમની ઓનલાઈન સર્વિસ પણ ખખડધજ
સરકારી ખર્ચે બનેલા આ કન્ટ્રોલ પોઈન્ટની હાલત જોઈને અમારા ટીમે ઓનલાઈન બસ ટ્રેક કરવાનો પ્રયાસ કર્યો હતો, આ માટે અમારી ટીમે મોબાઈલમાં બસની ડિટેઈલ નાખીને બસ ક્યારે આવશે, તે જાણવા પ્રયાસ કર્યો હતો, પરંતુ ST નિગમની આ ઓનલાઈન સર્વિસ પણ ખખડધજ જોવા મળી હતી.
પેસેન્જરોએ ST નિગમ પર કાઢ્યો પોતાનો બળાપો
ST નિગમની આવી સ્થિતિને જોયા બાદ અમારી ટીમે ઈસ્કોન ચાર રસ્તા પાસે ઉભેલા પેસેન્જરો સાથે ચર્ચા કરી હતી. જેમાં લોકોએ ST નિગમ પર પોતાનો બળાપો કાઢ્યો હતો. અમૂક મુસાફરોએ કહ્યું કે, ક્યારેય ST બસ સમયસર આવતી નથી. જેથી મુસાફરોએ હેરાન થવું પડે છે, તો અમૂક પેસેન્જરોએ કહ્યું કે, ક્યારેય પણ કન્ટ્રોલ પોઈન્ટ પર કોઈ અધિકારી હાજર રહેતા નથી.
કંડક્ટરે ટ્રાફિકનું બહાનું ધરી દીધું આગળ
મુસાફરો સાથે ચર્ચા કર્યા બાદ અમારી ટીમે અમદાવાદ-રાજકોટ બસની રાહ જોવાની શરૂ કરી હતી. અમારી ટીમે 9 વાગ્યાની જે બસ બૂક કરાવી હતી, જે બસ પોણા દસ વાગ્યે ઈસ્કોન ચાર રસ્તા પર પહોંચી હતી. જેથી અમારા રિપોર્ટરે બસના કંડક્ટરને બસના ટાઈમિંગ અંગે પૂછપરછ કરી હતી. જેમાં કંડક્ટરને ખૂદને બસનો ટાઈમ ખ્યાલ ન હોય તેવું સામે આવ્યું હતું. કારણ કે, કંડક્ટરે ખૂદને બસનો ટાઈમ ચેક કરવો પડ્યો હતો. જે બાદ મોડું આવવા બાબતે કંડક્ટરે અમદાવાદની ટ્રાફિકનું બહાનું આગળ ધરી દીધું હતું
ST નિગમના ખખડધજ તંત્રથી તમામ લોકો પરેશાન
ST નિગમના ખખડધજ તંત્રથી તમામ લોકો પરેશાન છે. એક મોટો વર્ગ એવો છે જે ST નિગમના બાબુઓની આળસથી કંટાળી ગયો છે. જેથી લોકો સસ્તી અને સલામત સવારીને બદલે ખાનગી વાહનોમાં મુસાફરી કરે છે. ઉલ્લેખનીય છે કે, સરકાર પાસે એકલે કે ST નિગમ પાસે ખાનગી ટ્રાવેલ્સને પણ ટક્કર આપે તેવી વોલ્વો બસો પણ છે, પરંતુ સરકારી બાબુઓના મિસ મેનેજમેન્ટના કારણે મુસાફરો વોલ્વોમાં બેસવાનું પણ ટાળે છે.
સળગતા સવાલ
ST નિગમ સમયને ક્યારે આપશે પ્રાથમિકતા?
દરરોજ ST બસ મોડી કેમ આવે છે?
શું ST નિગમને બસના ટાઈમિંગ સાથે કાંઈ લેવાદેવા નથી?
ટાઈમ પર બસ જ નથી આવતી તો ટિકિટમાં ટાઈમ કેમ લખો છો?
ST નિગમના અધિકારીઓ STમાં નફો થાય તેવા પ્રયાસો કેમ નથી કરતા?
ST નિગમ લોકોની સમસ્યા કેમ નથી સમજતું?
મોડી બસ આવવાને કારણે કેટલા મુસાફરોને હાલાકી થાય તે ST નિગમ સમજતું કેમ નથી?
કંટ્રોલ પોઈન્ટમાં કોઈ અધિકારી હાજર કેમ નથી?
શું માત્ર શોભાના ગાંઠિયા માટે કંટ્રોલ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે?