સરકાર દીકરીઓને ભણાવવા માટે મોટી મોટી જાહેરાતો તો બહુ કરે છે, પણ અહીંતો સ્કૂલેથી છૂટે તો ઘરે પહોંચશે કે નહીં તે પણ સવાલ હોય છે
રાજકોટમાં જોખમી કોઝ વે પરથી પસાર થતી વિદ્યાર્થિનીઓ
શું અહીં ઓવરબ્રિજ ન બની શકે?
કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ?
ગુજરાતની ગણના દેશના વિકસિત રાજ્યમાં થાય છે. ધનાઢ્ય રાજ્ય ગણતા ગુજરાતમાં એવા અનેક વિસ્તાર છે જ્યાં આજે પણ પ્રાથમિક સુવિધા પહોંચી નથી. સરકાર દીકરીઓને ભણાવવા માટે મોટી મોટી જાહેરાતો તો બહુ કરે છે. પરંતુ ગુજરાતના એવા કેટલાક વિસ્તાર છે દીકરી જે રીતે ભણી રહી છે તે દ્રશ્યો હચમચાવી દે તેવા છે. જીવના જોખમે આ દીકરીઓ શાળાએ જાય છે. ઘરથી સ્કૂલે જવા નીકળે તો સ્કૂલે પહોંચે કે કેમ તે પ્રશ્ન હોય છે. અને સ્કૂલેથી છૂટે તો ઘરે પહોંચશે કે નહીં તે પણ સવાલ હોય છે. સૌરાષ્ટ્રના સૌથી મહત્વના રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગઢાળા ગામનો ચિતાર ગુજરાતના ભણતર સામે મોટો સવાલ છે.
કોઝ વે પર પાણીનો અવિરત પ્રવાહ, દીકરીઑ સ્કૂલે પહોંચશે કે કેમ?
ગુજરાતની આ એ દીકરીઓ છે. જે ભવિષ્યના ઘડતરના પાઠ ભણવા જઈ રહી છે. આમાંથી કોઈ દીકરી ભણીગણીને મોટી ઉદ્યોગપતિ બનશે. તો કોઈ IAS, IPS કે પછી સરકારમાં ઉચ્ચ અધિકારી બનશે. આ દીકરીઓમાંથી કોઈ સુનિતા વિલિયમ્સ બનશે તો કોઈ બ્રિટનના ગૃહમંત્રી પ્રિતિ પટેલ બનશે તો કોઈ રાજકારણમાં પોતાનો દબદબો સ્થાપિત કરશે. પરંતુ આ બધી જ સફળતાઓ સર કરવા માટે જરૂરી છે શિક્ષણ. હા શિક્ષણ જ એક એવું માધ્યમ છે જે સફળતાના શિખરો સુધી પહોંચાડી શકે છે. સરકાર કહે છે કે દીકરી ભણે, દીકરી આગળ વધે. પણ અહીં તો કેવી રીતે ભણે તે સવાલ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલીક દીકરીઓ સ્કૂલે જઈ રહી છે પરંતુ જે રીતે તેઓ જઈ રહી છે તેના પરથી તો એવું કહી શકાય કે તેઓ સ્કૂલે પહોંચશે કે કેમ?. કારણ કે ઘરેથી સ્કૂલ જવા માટે એક કોઝ વે પાર કરવો પડે છે. અને આ કોઝ વે પર પાણીનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે. જો નાની અમથી પણ ભૂલ થાય તો શિક્ષણ દૂર જીવથી જવું પડે. હવે અહીં કેવી રીતે ભણે ગુજરાત?.
સ્થાનિક લોકોમાં રોષ
દ્રશ્યો જોઈ તમને આ ગામ કદાચ ગુજરાતનું નહીં લાગતું હોય. આ ગામ તમને ઓડિશા, બિહાર, કે આસામ રાજ્યનું કોઈ અંતરિયાળ ગામ લાગતું હશે. પરંતુ આ એજ વિકસિત ગુજરાતનું ગામ છે જેના મોડલ પર સમગ્ર દેશમાંથી સત્તાધારી પાર્ટી વોટ માગે છે. આ ગામ કોઈ અંતરિયાળ ગામ છે તેવું પણ નથી. આતો સૌરાષ્ટ્રના સૌથી મહત્વના રાજકોટ જિલ્લાના ઉપલેટાનું ગઢાળા ગામ છે. અને ગામને જોડતા કોઝ વે પર મોજ નદીનો પ્રવાસ વહી રહ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. જેના કારણે અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. અને તેના કારણે અનેક ગામના માર્ગો પરથી હાલ જોખમકારક પાણી વહી રહ્યું છે. ગઢાળા ગામને જોડતા કોઝ વે પરથી પાણીના તિવ્ર પ્રવાહ વચ્ચે પણ દીકરીઓ સ્કૂલે જાય છે. પરંતુ કોઈ આકસ્મિક બનાવ બને તે તેના માટે કોણ જવાબદાર?. .આ જ મામલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સરકારમાં રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી
ગામ લોકોનું કહેવું છે કે આ કોઝ વે પર પહેલા અનેકવખત અકસ્માત થયા છે. અમે અનેક વખત સરકારમાં રજૂઆત કરી છે કે આ કોઝવે ને થોડું ઉચ્ચો બનાવી આપો અથવા અહીં ઓવરબ્રિજ બનાવી આપો. પરંતુ સરકાર કંઈ જ સાંભળતી નથી. જેના કારણે ખાસ ચોમાસામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમારુ ગામ ભારતમાં છે કે પાકિસ્તાનમાં તે સમજાતું નથી. હવે જોવું રહ્યું કે સરકાર વીટીવીના આ અહેવાલ શું કામગીરી કરે છે.