M.Techમાં અભ્યાસ કરતા પોરબંદરના વિદ્યાર્થીનો આપઘાત
વર્કલોડના લીધે અંતિમ પગલું લીધું હોવાનું કારણ સામે આવ્યું
રાજકોટની મારવાડી કોલેજની હોસ્ટેલમાં M.Techમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. પોરબંદરના પાર્થ પંડ્યા નામના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઇ છે. કુવાડવા પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરતા વિદ્યાર્થીએ વર્કલોડના લીધે અંતિમ પગલું લીધું હોવાનું કારણ સામે આવ્યું છે.
જોકે આ ઘટના બનતાની સાથે જ ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો હોસ્ટેલમાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાંક સમયથી આપઘાતની ઘટનાઓ પણ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. જેમાં કોઇક વધુ દેવું થઇ જતા આત્મહત્યા કરે છે તો કોઇક વ્યાજખોરના ત્રાસના કારણે આપઘાત કરે છે તો કોઇક સામાજીક કારણોસર અથવા ઘરકંકાસના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવતું હોય છે.
તાજેતરમાં જ આત્મહત્યાના ત્રણ મોટા બનાવો સામે આવ્યા હતા
મહત્વનું છે કે, તાજેતરમાં જ થોડાક દિવસો પહેલાં રાજ્યમાં આત્મહત્યાના ત્રણ મોટા બનાવો સામે આવ્યા હતા. જેમાં વિગતે વાત કરીએ તો તાજેતરમાં જ બનાસકાંઠાના થરાદમાં નર્મદાની મુખ્ય કેનાલમાં ત્રણ બાળકો સહિત પાંચ લોકોએ સામુહિક આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી હતી. તો એ સિવાય વડોદરાના લક્ષ્મીપુરાની 18 વર્ષીય વિદ્યાર્થીનીએ મનગમતી ફીલ્ડમાં એડમિશન ન મળતા ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જ્યારે થોડાક દિવસો અગાઉ સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી શેરબજારના દલાલ પ્રવિણ કુંભાણીએ આત્મહત્યા કરી લીધી હતી. શેરબજારના દલાલે 7માં માળેથી કૂદીને આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.
રાજ્યમાં 2021માં 8,789 લોકોએ આત્મહત્યા કરી લીધી
તમને જણાવી દઇએ કે, રાજ્યમાં 2020માં 8,050 લોકોએ આત્મહત્યા કરી હતી. જ્યારે 2021માં 8,789 લોકોએ આત્મહત્યા કરી હતી. એટલે કે, રાજ્યમાં એક વર્ષમાં આત્મહત્યાના પ્રમાણમાં 9 ટકાનો વધારો થયો.