એકતરફ વડોદરામાં રોગચાળાએ માથું ઉચક્યું છે બીજી તરફ વધી રહેલા આંકડાઓ છૂપાવાવાના ખેલ થતાં હોવાનો અધિકારીઑ પર આરોપ થઈ રહ્યો છે
મંત્રી યોગેશ પટેલ અને આરોગ્ય અમલદાર વચ્ચે થઇ બોલાચાલી
આરોગ્ય અમલદારે જૂના આંકડા આપતા મંત્રી યોગેશ પટેલ થયા ગુસ્સે
આરોગ્ય અમલદારે તાજેતરના આંકડા છૂપાવવા કર્યો પ્રયાસ
વડોદરામાં મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં પાણી લીકેજની સમસ્યા જોવા મળી રહી છે. વરસાદ વરસતા ઠેર ઠેર પાણીના ભરાવા પણ જોવા મળી રહ્યા છે. ત્યારે મંત્રી યોગેશ પટેલે આરોગ્ય અમલદારનો જાહેરમાં ઉધડો લીધો છે. આરોગ્ય અમલદારે જૂના આંકડા આપતા મંત્રી યોગેશ પટેલ ગુસ્સે ભરાયા હતા અને આ કારણસર આરોગ્ય અધિકારી દેવેશ પટેલને જાહેરમાં ખખડાવ્યા હતા.
મંત્રી યોગેશ પટેલે લીધો અધિકારીનો ઉધડો
વડોદરામાં મંત્રી યોગેશ પટેલને આરોગ્ય અધિકારી દેવેશ પટેલે આરોગ્ય વિષયક હાલના તાજા આકડા જૂના પધરાવી દીધાનો આરોપ હતો જે બાદ કાર્યક્રમમાં આવેલા મંત્રીને આ વાતની ખબર પડતાં જ જાહેરમાં મંત્રી યોગેશ પટેલે આરોગ્ય અધિકારીને ખખડાવ્યા હતા. અને વડોદરામાં વકરી રહેલા રોગચાળા સામે તંત્રની કામગીરી સામે નારાજગી વ્યકત કરી હતી. અને આરોગ્ય અધિકારીએ પણ મંત્રીને સામે આકડા સાચા હોવાની હામ ભરી હતી જે બાદ મંત્રી યોગેશ પટેલ ગુસ્સે થઈ ગયા હતા અને અધિકારી દેવેશ પટેલને સરાજાહેર ઝાટકી કાઢ્યા હતા.
શહેરમાં પાણી જન્ય અને મચ્છરજન્ય રોગ વધ્યા
શહેરમાં મચ્છરજન્ય રોગોએ ભરડો લીધો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. ડેન્ગ્યૂ ચિકનગુનિયા, ઝાડા, ઉલટી, સહિત તાવના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જો વાત કરવામાં આવે તો છેલ્લા 10 દિવસમાં દર્દીઓની સંખ્યામાં ભારે વધારો જોવા મળ્યો છે જેમાં મોટાભાગના દર્દીઓ વાઈરલ ઈન્ફેક્શન કે સિઝનલ ફ્લૂનો ભોગ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. ધીમે ધીમે શહેરમાં ડેન્ગયૂ ચિકનગુનિયા સહિતના કેસ વધી રહ્યા છે ત્યારે વડોદરાની SSG હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. મેડિસિન વિભાગમાં દર્દીઓ વધતા બેડની અછત જોવા મળી રહી છે. અને દર્દીઓને નીચે સુવડાવી સારવાર આપવી પડી રહી છે. એક સપ્તાહમાં ઓપીડી 150થી વધીને 515 થઇ ગઇ છે. અને ડેન્ગ્યુના કેસોમાં પણ સતત વધારો થઇ રહ્યો છે.
વડોદરામાં તંત્રની આંખ આડા કાન
બીજી તરફ શહેરમાં રોગચાળો પણ માંથું ઉચકી રહ્યો છે. વડોદરામાં શહેરમાં પાણી જન્ય અને મચ્છરજન્ય રોગનું પ્રમાણ વધતા તંત્રની ઉદાસીનતા સામે આવી છે. છતા પણ તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી નથી ત્યારે તંત્રની આંખ આડા કાન કરવાની નીતિ પર સવાલો ઉઠી રહ્યા છે. અને સવાલ પણ થઈ રહયા છે કે જો રાજ્ય સરકારના મંત્રીને જો સાચા આંકડા અધિકારીઓ ન જણાવી શકતા હોય તો સામાન્ય જનતા સમક્ષ તો રોજ કેટલું જૂઠ્ઠાણું ફેલાવતા હશે?