અમદાવાદમાં ડબલ સીઝનને કારણે રાત્રે ઠંડી અને દિવસે કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આવામાં ડબલ ઋતુના કારણે અમદાવાદમાં વાયરલ ઇન્ફેકશન સહિતના રોગચાળાના કેસોમાં વધારો થયો છે. જેને લઈ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે પહોંચી રહ્યા છે. વિગતો મુજબ છેલ્લા એક અઠવાડિયામાં અસારવા સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં 20,000 હજાર દર્દીઓ નોંધાયા છે.
શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆતના આ વચ્ચેનાં સમયગાળામાં વાયરલ ઇન્ફેકશન સહિતના રોગચાળાના કેસોમાં વધારો થયો છે. વાત જાણે એમ છે કે, અમદાવાદની અસારવા સિવિલમાં છેલ્લા 25 દિવસમાં સરેરાશ ઝાડા-ઉલ્ટીના 126 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ કમળાના 130, ડેન્ગ્યુના 12 અને ચિકનગુનીયાંના 4 કેસ નોંધાયા છે. આ સાથે બાળકોમાં ઝાડા-ઉલટી, શરદી અને ખાંસી જેવા કેસનું પ્રમાણ પણ વધ્યું છે.
વાયરલ ઇન્ફેકશનના 15 દિવસમાં 2,500 કેસ
અસારવા સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેકશનના 15 દિવસમાં 2,500 કરતાં પણ વધુ કેસ સામે આવ્યા છે. એટલું જ નહી પરંતુ ઓપીડીમાં જે બાળકો આવે છે તે પૈકી 25 ટકા જેટલા બાળકોને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવી પડે છે. જ્યારે પુખ્ત વયના દર્દીઓમાં દાખલ કરવાનું પ્રમાણ 10 ટકા જેટલું છે. સોલા સિવિલમાં અઠવાડિયાની ઓપીડી 1200 આસપાસ પહોંચી છે.