નવાપુરા બહુચરાજી મંદિર ખાતે માગસર સુદ બીજ એટલે કે આ શુક્રવારે લગભગ 30 હજાર ભાવિકો માટે રસ-રોટલીની નાતનું આયોજન થવા જઈ રહ્યું છે.
બહુચરાજી મંદિરમાં માગસર સુદ બીજના દિવસે અનોખી પરંપરા નિભાવવામાં આવે
આ પરંપરા લગભગ 400 વર્ષ જૂની છે
માતાજી ગર્ભગૃહમાંથી બહાર આવીને દર્શન આપે છે
આપણા ગુજરાતમાં અઢળક મંદિર છે અને દરેક મંદિરને લઈને લોકોની અલગ અલગ માન્યતાઓ અને આસ્થા હોય છે. એવામાં અમદાવાદના નવાપુરામાં આવેલ બહુચરાજીના મંદિરમાં પણ હજારો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે. બહુચરાજી મંદિરમાં માગસર સુદ બીજના દિવસે અનોખી પરંપરા નિભાવવામાં આવે છે. આ સાથે જ કહેવાય છે કે આ પરંપરા લગભગ 400 વર્ષ જૂની છે. જણાવી દઈએ કે નવાપુરા બહુચરાજી મંદિર ખાતે માગસર સુદ બીજ એટલે કે આ શુક્રવારે લગભગ 30 હજાર ભાવિકો માટે રસ-રોટલીની નાતનું આયોજન થવા જઈ રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આખા વર્ષમાં એ એક જ દિવસે માતાજી મંદિરની બહાર આવે છે.
600 કિલો રસની નાત થશે
આ વિશે મંદિરના પૂજારી હર્ષભાઈ સાથે વાત કરતાં એમને જણાવ્યું હતું કે ' એ દિવસે લગભગ 600 કિલો રસની નાત થશે અને સવારે 7થી લઈને રાતના 10 વાગ્યા સુધી દર્શન માટે આવતા આશરે 30 હજાર ભક્તોને પ્રસાદરૂપે ર્સ આપવામાં આવશે. આ સાથે જ મંદિરની આસપાસના વિસ્તારના લગભગ 2500 જેટલા લોકોને મહાપ્રસાદ આપવામાં આવશે. આ સાથે જ એમને એમ પણ જણાવ્યું હતું કે આ નીતિ અને અન્નકૂટ માટે 3 દિવસ પહેલાથી જ મંદિરમાં તૈયારીઓ શરૂ કરવામાં આવશે અને આ સિવાય એક મહિના પહેલાથી જ કેરીના રસનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. જો કે આ સારા કાર્ય માટે આશરે 25થી વધારે સ્વયંસેવકો નાત અનુરૂપ સેવ આપવા માટે જોડાઈ ગયા છે. '
માતાજી ગર્ભગૃહમાંથી બહાર આવીને દર્શન આપે છે
નવાપુરામાં આવેલ બહુચરાજીના મંદિરમાં એ દિવસે નાતની સાથે સાથે સવારે 10 વાગ્યે માતાજીના 64 અલગ અલગ ખંડ પણ ભરવામાં આવશે. વર્ષમાં આ એક જ દિવસે એક વાર માતાજી તેમના ગર્ભગૃહમાંથી બહાર આવીને ભક્તોને દર્શન આપે છે. જણાવી દઈએ કે એ દિવસે સવારે 6 વાગ્યે મંગલા આરતી થશે અને એ પછી રાત્રે 11 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લુ રહેશે.
વર્ષમાં એક વખત થાય છે 18 કડીની મહાઆરતી
ભુલાભાઈ બહુચરાજી મંદિર એકમાત્ર એવું મંદિર છે જ્યાં વલ્લભ ભટ્ટ રચિત 18 કડીની 25 મિનિટની મહાઆરતી અને જગયાં કરવામાં આવે છે. આ મહાઆરતી આખા વર્ષમાં એ એક જ દિવસે કરવામાં આવે છે. શુક્રવારના દિવસે માતાજીના વિશેષ અલંકારથી શણગાર કરવામાં આવશે અને આ સાથે જ નાતનું આયોજન પણ થશે.
કઇંક આવી છે માન્યતા
જગત જનની માં બહુચરે પોતાના પરમ ભક્ત વલ્લભ ભટ્ટ ની સમાજ સમક્ષ આબરૂ જાળવવા માગસર સુદ બીજ ના દિવસે રસ-રોટલી નું જમણ કરાવ્યું હતું. બહુચર માતાજી ના પરમ ભક્ત વલ્લભ ભટ્ટની પરીક્ષા કરવા સમાજ ના લોકો એ શિયાળા ની ઋતુ માં રસ રોટલી નું જમણ માંગ્યું હતું.પોતાના પરમ ભક્ત ની પરીક્ષા ને પૂર્ણ કરવા માં બહુચર વલ્લભ ભટ્ટ ના સ્વરૂપ માં આવી તમામ લોકો ને રસ રોટલી નું જમણ કરાવ્યું હતું.બહુચર માતાજી ના વર્ષો અગાઉ આપેલા પરચા ને આજે પણ તેના પરમ ભક્તો નિભાવી રહ્યા છે.