સાબરકાંઠા પંથકમાં નકલી બિયારણોના અડ્ડાઓ ખૂલ્યા હોવાની રાવ ઉઠતાં આજે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં હજારો કિલો બિયારણ સીઝ કરાયું છે.
ખેડૂતોને છેતરતી મિલોનો રાફડો ફાટ્યો
વડાલી તાલુકામાં 4 જીનિંગ પર દરોડા
18 હજાર કિલો બીજ કરાયું સીઝ
જીનિંગ મિલોમાં બેફામ રીતે નકલી બિયારણનું ઉત્પાદન!
નકલી બિયારણની ફરિયાદો સતત વધતી જઈ રહી છે. ત્યારે આવી જ એક ફરિયાદના પગલે સાબરકાંઠાના વડાલી તાલુકામાં વહીવટી તંત્રએ જીનિંગ મિલો પર રેડ કરી હતી અને જ્યાં જ્યાં ભેળસેળ અને નકલી બિયારણની આશંકાઓ હતી. તેવી ચાર મિલોમાંથી 18 હજાર કિલોથી વધારે કપાસના બિયારણના જથ્થાને સીઝ કરાયો હતો. સાથે જ ચારેય મિલોમાંથી કપાસના બિયારણના સેમ્પલ લઈને ગાંધીનગર ખાતે તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.
માત્ર ચાર મિલોમાં રેડ કરી સંતોષ માની લેતું તંત્ર
ખેડૂતનું બીજ બગડયું તો તેનું આખુ વર્ષ બગડયું એવી વર્ષોથી પ્રચલિત કહેવત છે. પરંતુ કમાણીની લ્હાયમાં રાજ્યના લાખો ખેડૂતો સાથે આવું થઈ રહ્યું છે. કારણ કે, ખેડૂતો કંપની જોઈને બીજની ખરીદી કરતા હોય છે. પરંતુ બજારમાં બિલાડીના ટોપની માફક ફાટી નીકળેલી ડુપ્લીકેટ કંપનીઓ ઓરિજનલ કંપનીના બીજ ખેડૂતો સુધી પહોંચવા દેતી નથી. તેવામાં માત્ર સાબરકાંઠામાં પણ તંત્ર દ્વારા માત્ર વડાલીની ચાર મિલોમાં રેડ કરીને સંતોષ માની લીધો હતો. આળશું તંત્ર દ્વારા અન્ય એકપણ મિલમાં તપાસ હાથ ધરવામાં આવી ન હતી. જેને લઈને ખેડૂતોમાં તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.
કેમ સરકારનો જીનિંગ મિલો પર કોઈ કંટ્રોલ નથી?
ખાતરો અને નકલી દવાઓના કારણે અનેક ખેડૂતોએ ભૂતકાળમાં માર ભોગવ્યો છે. તેવામાં હવે નકલી અને ભેળસેળીયા બિયારણોની બજારમાં ભરમાર વધી ગઈ છે. એવી નવી-નવી કંપનીઓ ખુલી ગઈ છે કે, ખેડૂત પણ છેતરાઈ જાય છે. ત્યારે સવાલએ થાય છે કે, કેમ સરકારનો જીનિંગ મિલો પર કોઈ કંટ્રોલ નથી? કેમ નકલી બિયારણ અંગે કડક કાર્યવાહી નથી થતી? અત્યાર સુધીમાં કેમ નકલી બિયારણમાં પકડાયેલા એકપણ આરોપીને કડક સજા થઈ નથી? નકલી બિયારણના કારણે ઉત્પાદન જ નહીં થાય તો ડબલ આવક ક્યાંથી આવશે? ત્યારે સરકાર આ દિશામાં કડક પગલા લેશે કે કેમ તે આવનાર સમય જ બતાવશે.