મહેસાણા સર્કિટ હાઉસ ખાતે રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈના અધ્યક્ષ સ્થાને માલધારી મહાપંચાયત આંદોલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં રખડતા પશુ મામલે રઘુ દેસાઈએ મહત્વનું નિવેદન આપ્યું હતું.
મહેસાણામાં ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન સમિતિની બેઠક યોજાઈ હતી. મહેસાણા સર્કિટ હાઉસ ખાતે રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો અને ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન સમિતિના પદધિકારીઓ અને સભ્યો હાજર રહ્યા હતા.
આ બેઠકમાં ધારાસભ્ય રઘુ દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન સમિતિ દ્વારા આગામી 18 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના માલધારીઓની વેદના માટે એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભા ગાંધીનગરના શેરથા ખાતે યોજાશે. જેની તૈયારીના ભાગરૂપે આજની આ બેઠક યોજાઈ હતી.
તેઓએ જણાવ્યું હતું કે, 31 માર્ચે સરકારે વિધાનસભામાં પશુ નિયંત્રણનો કાયદો પસાર કર્યો છે. અત્યારે આ કાયદો સ્થગિત છે પરંતુ ભવિષ્યમાં રાજ્યપાલની સહીંથી આ કાયદો ફરી અમલમાં આવી શકે છે. ત્યારે આ આગામી દિવસોમાં બે દિવસનું જે સત્ર યોજવા જઈ રહ્યું છે, તેમાં આ કાયદો સરકારે રદ્દ કરવો જોઈએ.
18 સપ્ટેમ્બરે શેરથા ખાતે યોજાશે સભા
અમારી 15 પડતર માંગણીઓને લઈને આગામી સભા યોજવા જઈ રહી છે. આ સભા શેરથા ખાતે યોજાશે. જો સરકાર અમારી વાત નહીં સાંભળે તો તેનું પરિણામ આગામી 2022ની ચૂંટણીમાં દેખાશે. 18 સપ્ટેમ્બરે યોજાનાર આ સભામાં હજારોની સંખ્યામાં માલધારી સમાજના લોકો, સંતો, મહંતો હાજર રહેશે.
રોડ ઉપર ગાય નહીં આખલા ફરે છેઃ રઘુ દેસાઈ
રઘુ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, રોડ ઉપર ગાય નહીં આખલા ફરે છે, આખલાના કારણે રોડ ઉપર અકસ્માતના બનાવ બને છે. જ્યારે અમે સરકારને મળ્યા હતા ત્યારે અમે સરકારને કહ્યું હતું કે, રસ્તા પર રખડતા આંખલાઓ માટે નંદી હોસ્ટેલો બનાવવામાં આવે. સરકારે 500 કરોડ રૂપિયા ગૌસંવર્ધન માટે બજેટમાં જોગવાઈ કરી છે. જેમ તમે પાંજરાપોળને પૈસા આપો છો તેમ 10 લાખ નંદીઓ રસ્તાઓ પર રખડી રહ્યા છે. એમને પકડવા જોઈએ અને તેમની વ્યવસ્થા પાંજરાપોળ દ્વારા કે સરકારે નંદી હોસ્ટેલો બનાવીને કરવી જોઈએ. સરકારે ગૌચર જમીન ઉદ્યોગોને વેંચી દીધી છે. ગાય અને આખલાની જમીન ઉપર બાંધકામ કરી દીધા છે. આ જમીન વાસ્તવમાં ગાય અને આખલા માટે હતી એવું રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈએ જણાવ્યું હતું.
ઢોર નિયંત્રણના કાયદાને રદ કરવાની માંગ ઉઠી
આપને જણાવી દઈએ કે, માલધારી સમાજ દ્વારા આ ઢોર નિયંત્રણના કાયદાને રદ કરવાની માંગ ઉઠી છે. ગત 8 સપ્ટેમ્બરના રોજ માલધારી સમાજ દ્વારા ગાંધીનગરના ટીંટોળા ગામે આવેલા શ્રી વડવાળા મંદિર ખાતે ઢોર નિયંત્રણના કાયદાને રદ કરવા બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં માલધારી સમાજના આગેવાનો, ભુવાજીઓ,સંતો મહંતો, રાજકીય આગેવાનો, સમાજીક સંગઠનો તેમજ માલધારી સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.