ચીન સહિત દુનિયાના કેટલાક દેશોમાં હવે કોરોના ફરીથી માથુ ઉચકી રહ્યો છે ત્યારે હવે ભારત સરકાર સહિત ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. ગાંધીનગર ખાતે કોવિડની સ્થિતિને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં એક બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહેશે. આ બેઠકમાં હાલ કોવિડની સ્થિતિ,વેક્સિનેશન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાશે. વિશ્વભરમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે ભારત સરકારે પણ કોરોના અંગે સમીક્ષા બેઠક બોલાવી છે.
કોવિડની સ્થિતિને લઇ આરોગ્ય વિભાગની મળશે બેઠક
ચીનમાં હાહાકાર મચાવ્યાં બાદ કોરોનાએ યુરોપના ઘણા દેશોને પોતાના કબજામાં લઈ લીધા છે. ભારત પણ આ અંગે સતર્ક છે. આજે કોવિડની સ્થિતિને લઇ આરોગ્ય વિભાગની બેઠક મળશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ રહેલી બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે હાલની કોવિડની સ્થિતિ, વેક્સિનેશન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાશે.
ચીનની સ્થિતિ સૌથી ખરાબ!
ચીન સહિત જાપાન, અમેરિકા, કોરિયા અને બ્રાઝિલમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોના પ્રતિબંધોમાં છૂટ આપ્યા બાદ ચીનમાં સ્થિતિ વણસી છે. અહીં હોસ્પિટલોની બહાર લાંબી કતારો લાગી રહી છે, દર્દીઓને બેડ મળી રહ્યા નથી. દવાઓ પણ ઓછી પડી રહી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે તમામ રાજ્યોને લખ્યો પત્ર
વિશ્વમાં કોરોનાનો ખતરો વધતા કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યોને પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તમામ પોઝિટિવ કેસના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવા જોઈએ, જેથી કોરોનાના નવા પ્રકારો શોધી શકાય. આ પત્રમાં તેમણે ખાતરી કરવા જણાવ્યું છે કે દરરોજ આવતા કોરોના પોઝિટિવ કેસના સેમ્પલ નિયુક્ત INSACOG જેનોમ સિક્વન્સિંગ લેબોરેટરીમાં મોકલવામાં આવે. આ સાથે તેમણે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી તમામ મદદની ખાતરી પણ આપી છે.
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની આજે ઉચ્ચ સ્તરીય બેઠક
બીજી તરફ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે એટલે કે બુધવારે દેશમાં કોવિડ-19ની સ્થિતિ અંગે અધિકારીઓ અને નિષ્ણાતો સાથે બેઠક કરશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ બેઠક બાદ કોરોના સંબંધિત કેટલીક નવી માર્ગદર્શિકા આવી શકે છે.