બાંગ્લાદેશના ઢાકાના બહારના વિસ્તારમાં આવેલ એક ફેક્ટરીમાં ભીષણ આગના કારણે 52 લોકોના નિધન થયા છે જ્યારે 50થી વધારે લોકો ઘાયલ થયા છે.
બાંગ્લાદેશના પાટનગર ઢાકાની એક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ
52 લોકોના મોત, 50થી વધારે લોકો થયા ઈજાગ્રસ્ત
આગથી બચવા માટે ઈમારતમાંથી કેટલાય શ્રમિકો કૂદી ગયા હતા
ભયંકર આગમાં કેટલાય જીવતા હોમાયા
બાંગ્લાદેશના સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર આ હોનારતમાં અત્યાર સુધી 52 મૃતદેહ મળી આવ્યા છે જ્યારે 50 લોકો આગ લાગવાના કારણે દાઝી ગયા છે. ભીષણ આગથી બચવા માટે ઘણા લોકો ઈમારતમાંથી કૂદી પણ ગયા હતા.
લોકો પોતાના પરિજનો માટે કરી રહ્યા છે રઝળપાટ
ઈમારતની આસપાસ ઘણા બધા લોકો પણ એકત્રિત થઈ ગયા છે. આ લોકો પોતાના પ્રિયજનોની તપાસમાં રઝળી રહ્યા છે. પરિસ્થિતિ એવી છે કે આગમાં સળગી ગયેલા મૃતદેહોને ઓળખવા પણ મુશ્કેલ થઈ રહી છે. અત્યાર સુધી 44 લોકો લાપતા હોવાની પુષ્ટિ થઈ છે.
ફેક્ટરીમાં બેદરકારીનો આરોપ
જે શ્રમિકોને બચાવી લેવામાં આવ્યા છે તેમના પરિજનોએ આરોપ લગાવ્યો છે કે જે સમયે આગ લાગી ત્યારે ફેક્ટરીમાં એક માત્ર બહાર જવાનો દરવાજો પણ બંધ હતો. આ સિવાય આરોપ છે કે ફાયર સેફટીનું પણ કોઈ ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું નહીં.
હજુ આગ પર નથી મેળવાયો કાબૂ
જિલ્લાના તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવવામાં હજુ પણ સમય લાગી શકે છે. અધિકારીઓ કહી રહ્યા છે કે જ્યાં સુધી આગ પર કાબૂ મેળવવામાં આવે નહીં ત્યાં સુધી કહી ન શકાય કે કેટલું નુકસાન થયું છે અને આગ લાગવાનું કારણ શું છે?