અમદાવાદના વિસલપુર પાસે જ આજે દીપડો દેખાયો હોવાના સમાચાર મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં વિસલપુરની સીમમાં દીપડી સાથે 2 બચ્ચા જોવા મળ્યા હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ જિલ્લીની સીમમાં દીપડો!
સ્થાનિકોએ દીપડી સાથે બચ્ચાને જોયાનો દાવો
15 દિવસથી ગોઠવાયા છે પાંજરા
મળતી વિગતો પ્રમાણે, અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ફરી દીપડો દેખાયો હોવાની ચર્ચા વાયુવેગે પ્રસરી જતા નાગરિકોમાં ચિંતા ફેલાઈ હતી. જો કે, આ અંગે રાજ્યના વન વિભાગે વીડિયોના આધારે તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરી છે. આ સાથે જ ખેડૂતોને ખેતરમાં જવા પર પાબંધી લાદવામાં આવેલ છે.
વન વિભાગ આવ્યું એક્શનમાં
આ સાથે જ વન વિભાગ દ્વારા દીપડી અને તેના બચ્ચાને પકડવા માટે 20 જેટલા પાંજરા મુકવામાં આવ્યા છે. તો મારણ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જણાવી દઈએ કે આ અગાઉ પણ અમદાવાદના સનાથલ નજીક દીપડાના પગલા જોવા મળ્યા હતા.
અમદાવાદમાં સનાથલ પાસે દીપડો દેખાયો
સનાથલ સર્કલ પાસે થોડા દિવસ દીપડો દેખાયો હોવાની વાતથી ફફડાટ ફેલાયો હતો. વનવિભાગે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, દીપડાએ નીલ ગાયનું મારણ પણ કર્યું છે. હાલ વન વિભાગને દીપડાના ફૂટપ્રિન્ટ મળી આવ્યા છે અને દીપડાને પકડવા સનાથલ વિસ્તારમાં પાંજરાં મૂક્યા છે.
દીપડાએ નીલગાયનું મારણ કર્યું
છેક અમદાવાદની હદમાં દીપડાએ નીલગાયનું મારણ કર્યું હોવાથી વનવિભાગ પણ દોડતું થયું છે. વનવિભાગે તપાસ કરતાં દીપડાના ફૂટપ્રિન્ટ પણ મળી આવ્યા હતા, તેથી વનવિભાગ દ્વારા સનાથલમાં પાંજરા મૂકવામાં આવ્યા છે.
દીપડાના ફૂટ પ્રિન્ટ મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ
નોંધનીય છે કે સનાથલ અમદાવાદની હદ વિસ્તારમાં આવે છે અને સરખેજ વિસ્તાર સનાથલની અડીને આવેલો છે. આમ સિટી વિસ્તારમાં દિવસ દરમિયાન જ દીપડો આવ્યો હોવાના સમાચાર સ્થાનિકોમાં ફેલાયા હતા અને તે બાદ જાણવા મળ્યું કે દીપડાએ નીલગાયનું મારણ પણ કર્યું છે. જે બાદ આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. નીલગાયની કથિત તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહી છે પરંતુ તેની પુષ્ટિ કરી શકાઈ નથી. જોકે તંત્રએ દીપડાને પકડવા માટે ચાર પાંજરા મૂકી દીધા છે.