દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં 24 વિદ્યાર્થીઓ સહિત 27 લોકો કોરોના પોઝિટીવ થયા છે.
દિલ્હીમાં યુવાનોને સૌથી વધારે કોરોના થઈ રહ્યો છે.
જેએનયુમાં 27 વિદ્યાર્થીઓ પોઝિટીવ
હર્ડ ઈમ્યુનિટી આવતા હજુ બે વર્ષ લાગશે
વધી રહેલા કોરોના વાઈરસના કેસોને ધ્યાનમાં રાખીને જેએનયુ પ્રશાસને નવા નિયમો જારી કરીને તેનું કડકાઈથી પાલન કરાવવાનો આદેશ આપ્યો છે.
જેએનયુ દ્વારા જારી થયેલા આદેશમાં 45 વર્ષની ઉંમરના લોકોનું રસીકરણ, ફરજિયાતપણે માસ્ક પહેરવાનું જણાવાયું છે. જેએનયુ પ્રશાસન દ્વારા કહેવાયું કે સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. જો સ્થિતિ ખરાબ થઈ તો પરિસરમાં તમામ ગતિવિધિઓ સીમિત કરી દેવામાં આવશે. લોકોની અવરજવર પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવશે.
દિલ્હીમાં 30 થી 50 વર્ષની ઉંમરના લોકો કોરોનાનો સૌથી વધારે ભોગ બની રહ્યાં છે. વિશેષજ્ઞોએ જણાવ્યું કે હર્ડ ઈમ્યુનિટી વિકસવામાં હજુ ઘણો લાંબો સમય લાગશે. ઓછામાં ઓછા બે વર્ષ સુધી માસ્ક પહેરવું પડશે. હાથની સફાઈ, સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોનું પાલન કરવું પડશે.
દિલ્હીમાં કોરોના મહામારીની ચોથી લહેર ચાલી રહી છે. કેટલાક ડોક્ટરોનું કહેવું છે કે ગયા વર્ષ કરતા આ વર્ષે વધારે લોકો સંક્રમિત થવા પાછળનું મુખ્ય કારણ વાયરસનું રુપ બદલવું છે અને હવે કોરોનાનું નવું સ્વરુપ પહેલા કરતા વધારે ખતરનાક છે.
વેક્સિન મુદ્દે રાજ્યોની ફરિયાદ
નોંધનીય છે કે મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં વેક્સિનની અછત જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીએ ગઇકાલે જ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો હતો કે અમે સૌથી વધારે પરેશાન છીએ અને કેન્દ્ર સરકાર વેક્સિન મામલે ગુજરાત પર મહેરબાન છે. જોકે આ મુદ્દે ભારતના સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જવાબ પણ આપ્યો છે. ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 1,31,968 કેસ આવતા હડકંપ મચી ગયો છે. પહેલીવાર આટલા બધા કેસ સામે આવ્યા છે જ્યારે 24 જ કલાકમાં 780 લોકોના મોત કોરોના વાયરસના કારણે થયા છે. ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 9,79,608 થઈ ગઈ છે.