વધતી જતી ગરમીને લઈને ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પરિપત્રમાં એપ્રિલ અને મે મહિના દરમિયાન કામમાંથી મુક્તિ આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
શ્રમિકોને બપોરના સમયે કામમાંથી મુક્તિ આપવા પરિપત્ર
ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીનો પરિપત્ર
પરિપત્રમાં એપ્રિલ અને મે મહિના દરમિયાન કામમાંથી મુક્તિ આપવાનો ઉલ્લેખ
રાજ્યની ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં શ્રમિકોને બપોરના સમયે કામમાંથી મુક્તિ આપવા પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં બાંધકામ શ્રમિકોને બપોરે 1 થી 4 વાગ્યા સુધી કામમાંથી મુક્તિ આપવા પરિપત્ર જાહેર કરાયો છે. તેમજ પરિપત્રમાં એપ્રિલ અને મે મહિના દરમિયાન કામમાંથી મુક્તિ આપવાનો પણ ઉલ્લેખ કર્યો છે.
ગુજરાતના મોટા ભાગનાં શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી જઈ શકે છેઃ હવામાન વિભાગ
અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે મોસમનો મિજાજ વારંવાર બદલાઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ શહેરીજનોને અસહ્ય ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. મહારાષ્ટ્રમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ અને નર્મદા જિલ્લામાં માવઠું પડશે. આજે ગુજરાતના મોટા ભાગનાં શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી જઈ શકે છે.
રાજ્યના કેટલાક ભાગોમાં આંધી અને વંટોળનો પ્રકોપ રહી શકે
ગરમીની તીવ્રતા અચાનક જ ભયાનક હદે વધી જતાં અમદાવાદ શહેરમાં 108 ઇમર્જન્સી સર્વિસને મળતા કોલમાં ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત કાળઝાળ ગરમીના કારણે બીમાર પડતાં લોકોની સંખ્યા પણ વધી છે. હવામાન નિષ્ણાતોના મતે આવતી કાલ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં આંધી અને વંટોળનો પ્રકોપ રહી શકે છે. જયારે 20થી 25 એપ્રિલ સુધી રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે. તા.25-26 એપ્રિલે રાજ્યમાં ફરી આંધીનો પ્રકોપ રહેશે. હવામાન વિભાગ અનુસાર આગામી ચાર દિવસ રાજ્યમાં તાપમાનમાં વધઘટ જોવા મળી શકે છે. ચાર દિવસ વાતાવરણ સૂકું રહેશે. આગામી બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. જ્યારે બે દિવસ બાદ એક ડિગ્રી તાપમાન ઘટશે. બે દિવસ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં એક ડિગ્રી તાપમાન વધવાની શકયતા છે. ઉત્તરી દિશાથી સૂકા પવન ફૂંકાવાને લઈને તાપમાનમાં વધારો થશે તો બીજી તરફ રાહત આપનારા સમાચારમાં હાલ એલર્ટની કોઈ આગાહી નથી. હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ અનુસાર આજે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની સાથે 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે. વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ વરસવાનો હોવાથી હવામાન વિભાગે સાવચેતી રાખવા માટે કેટલાક સૂચનો પણ આપ્યાં છે. પવન અને વરસાદને કારણે જર્જરીત માળખાને નુકસાન થઈ શકે છે. તેનાથી લોકોને દૂર રહેવા જણાવાયું છે પવન ફૂંકાતો હોય ત્યારે ઘરની અંદર રહેવું. બારી-દરવાજા બંધ રાખવા અને શક્ય હોય તો યાત્રા ન કરવી. સુરક્ષિત જગ્યાએ આશ્રય લેવો. ઝાડ નીચે ઊભા ન રહેવું. વીજ ઉપકરણોથી દૂર રહેવું. ગઈ કાલે અમદાવાદમાં 40.08, રાજકોટમાં 41.03, જૂનાગઢમાં 41.02, ગાંધીનગરમાં 41, ભૂજમાં 41, વડોદરામાં 40.02 ડાંગમાં 40.06 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હજુ પણ અમદાવાદમાં ગરમી વધે તેવી આગાહી કરવામાં આવી છે.