હાલોલના મેડી મદાર ગામે કન્સ્ટ્રકશન સાઇટ પર લિફ્ટ તૂટતા એક શ્રમિકનું મોત થયું છે. હાલ હાલોલ રૂરલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મંદિરનું બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન લિફ્ટ તૂટી
સાઇટ પર અકસ્માતમાં શ્રમિકનું કમકમાટી ભર્યું મોત
હાલોલ રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી
પંચમહાલ જિલ્લાના હાલોલના મેડી મદાર ગામે કન્સ્ટ્રક્શન સાઇટ પર દુર્ઘટના સર્જાઈ છે. જેમાં એક શ્રમિકનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે. હાલ પોલીસે શ્રમિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.
દુર્ઘટનામાં વિઠ્ઠલ નાયક નામના શ્રમિકનું મોત
પ્રાપ્ત વિગતો અનુસારા, હાલોલના મેડી મદાર ગામે મંદિરનું બાંધકામ ચાલી રહ્યું હતું. શ્રમિકો પોત-પોતાના કામમાં લાગ્યા હતા. આ દરમિયાન અચાનક લિફ્ટ તૂટી હતી. આ દુર્ઘટનામાં વિઠ્ઠલ નાયક નામના શ્રમિકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગેની જાણ પોલીસને કરતા હાલોલ રૂરલ પોલીસની ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
ગત વર્ષે સુરતમાં સર્જાઈ હતીમોટી દુર્ઘટના
પોલીસ દ્વારા શ્રમિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આપને જણાવી દઈએ કે, ગત વર્ષે સુરતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. વડોદ ગામ નજીક લિફ્ટ તૂટતા 2ના મોત થયા હતા. શહેરના પાંડેસરા વિસ્તારના વડોદ ગામ નજીક પ્લેટિનિયમ કોમ્પ્લેક્સમાં કોમર્શિયલ લિફ્ટ તૂટતા 2 લોકોના મોત થયા હતા. જોકે, આ ઘટનાની તુરંત પોલીસને જાણ થતા જ પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
લિફ્ટ તૂટતા 2 શ્રમિકોના થયા હતા મોત
તપાસમાં બંને કામદારો મહારાષ્ટ્રના નંદુરબારના વતની હોવાનું જાણવા મળી રહ્યું હતું. પોલીસની તપાસમાં આ શ્રમિકો કોઈપણ પ્રકારની સેફ્ટી વિના કામગીરી કરી રહ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. આ પહેલા અમદાવાદમાં પણ આ જ પ્રકારે એક ઘટના ઘટી હતી. જેમાં લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના મોત નિપજ્યા હતા.