V S હોસ્પિટલના બિલ્ડંગને તોડી પાડવા મામલે એક ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ હતુ. આ ટેન્ડરના હુકમને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો
V S હોસ્પિટલનું બિલ્ડિંગ તોડી પાડવા મામલે હાઈકોર્ટમાં થઈ સુનાવણી
કોર્પોરેશનના 500 કાર્યરત બેડ નહીં તોડાય
AMCને રજૂ કર્યુ સોગંધનામુ
અમદાવાદમાં V S હોસ્પિટલનું બિલ્ડિંગ તોડી પાડવાના કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટ તરફથી એએમસીને બિલ્ડિંગ તોડી પાડવા અંગેનું વલણ સ્પષ્ટ કરવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. કોર્પોરેશન તરફથી હાલ 500 બેડ જે કાર્યરત છે તેને યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ આ 500 બેડ બિલ્ડિંગ તોડી પાડવામાં નહીં આવે તે અંગેનું સોગંધનામુ રજૂ કરવામાં આવ્યુ છે.
કોર્ટમાં અરજદારની શું હતી રજૂઆત
મહત્વનું છે કે V Sને તોડવાના AMCના ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે બાદ V S. હોસ્પિટલને તોડી પાડવાનો વિવાદ સજાર્યો હતો. સુનાવણી દરમિયાન અરજદારે કોર્ટમાં ટાંક્યું હતું કે અગાઉ 1200 બેડ આવેલા હતા, જે ઘટાડીને હવે કોર્પોરેશન 500 બેડ હોવાનું રટણ કરી રહી છે. બીજી તરફ અગાઉની સુનાવણીમાં જ્યારે કોર્પોરેશને એવો જવાબ રજૂ કર્યો હતો કે હોસ્પિટલનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોવાથી તેણે તોડી પાડવું જરૂરી છે. જે બાદ આજે હાથ ધરાયેલી સુનાવણીમાં કોર્ટમાં કોર્પોરેશન તરફથી 500 કાર્યરત બેડની જગ્યાને તોડી પાડવામાં નહીં આવે તેવી સ્પષ્ટતા કરવામાં આવી હતી.
જેના જવાબમાં કોર્ટે કહ્યું હતું કે સોગંધનામુ રજૂ કરવામાં આવે તેમજ હોસ્પિટલનું બિલ્ડિંગ તોડી પાડ્યા બાદ તે જગ્યા પર શું આયોજન કરવાનું છે તેની પણ માહિતી આપવામાં આવે. કોર્પોરેશનની ગોળગોળ વાતોને ધ્યાને લેતા કોર્ટે નિર્દેશ કર્યો હતો કે વલણ સ્પષ્ટ કરવામાં આવે. જયારે અરજદારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સારવાર અને સ્વાસ્થ્યના અધિકારથી વંચિત રાખવાનું કાવતરું ઘડાઈ રહ્યું હોવાની વાત મૂકી હતી.દર્દીઓને મફતમાં મળતી આરોગ્ય સુવિધાઓ બંધ થઈ જશે તેવી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. હવે આ સમગ્ર મામલે એક સપ્તાહ બાદ આવનાર સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે.