મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કચ્છ નર્મદા યોજનાની દૂધઈ પેટા શાખા નહેરનું વધુ ૪૫ કિ.મી. સુધી વિસ્તરણ કરવા નિર્ણય કરાયો છે
કચ્છની દૂધઈ પેટા શાખા નહેરનું વધુ 45 કિ.મી. વિસ્તરણ કરાશે
અંજાર અને ભુજના 13,175 એકર વિસ્તારને નર્મદાનું પાણી મળશે
1550 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવશે
ભૂજ-અંજારના લોકોની વર્ષો જૂની માંગને લઈને CM ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. આ વિસ્તારના પાણીની સમસ્યા નિવારવા કચ્છની દૂધઈ પેટા શાખા નહેરનું વધુ ૪૫ કિ.મી. સુધી વિસ્તરણ કરવા અંગેની ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે. જેને પગલે વિસ્તારવાસીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે.
દૂધઈ પેટા શાખા નહેરને ઓપન કેનાલ તરીકે વધુ ૪૫ કિલોમીટર લંબાવાશે
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય સમિક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં કચ્છ વિસ્તારને નર્મદા યોજનાના પાણી પૂરા પાડતી કચ્છ શાખા નહેરમાંથી નીકળતી દૂધઈ પેટા શાખા નહેરને ઓપન કેનાલ તરીકે વધુ ૪૫ કિલોમીટર લંબાવવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. આ કેનાલ શાખા નહેર દૂધઈથી કુનારિયા સુધી વિસ્તરણ કરાયા બાદ અંજાર અને ભૂજ તાલુકાના ખેડૂતો અને લોકોની માંગનો અંત આવશે. આ વધારાની ૪૫ કિ.મી. લંબાઈમાં ૧૭૬ જેટલા મોટા સ્ટ્રક્ચર્સનું પણ બાંધકામ કરવાનો અને દૂધઈ પેટા શાખા ઉપરાંત તેના વિસ્તરણ માળખાના કામો પણ સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા અમલવારી કરવાના આદેશો આપ્યા છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય સમિક્ષા બેઠકમાં કચ્છ વિસ્તારને પાણી પૂરા પાડતી નર્મદા યોજનાની કચ્છ શાખા નહેરમાંથી નીકળતી દૂધઈ પેટા નહેરને ₹1550 કરોડના અંદાજિત ખર્ચે ઓપન કેનાલ તરીકે વધુ 45 કિલોમીટર લંબાવવાનો કચ્છના પ્રજાજનોના વ્યાપક હિતમાં નિર્ણય કર્યો છે. pic.twitter.com/bDhIWHj3No
સિંચાઈ, પશુધનને પીવાના પાણી તથા ઘાસચારાની સમસ્યાનો આવશે અંત
ઉલ્લેખનીય છે કે દૂધઈ પેટા શાખા નહેરના ભચાઉથી દૂધઈ સુધીના ૨૩.૦૨૫ કિલોમીટર લંબાઈના કામો તથા તેના વિસ્તરણ માળખાના કામો તાજેતરમાં પૂર્ણ થયા છે.આ નહેર લંબાયા બાદ અંજાર તેમજ ભુજ તાલુકાના વધારાના ૧૩,૧૭૫ એકર વિસ્તારને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળશે. તેમજ પશુધનને પીવાના પાણી તથા ઘાસચારાની સમસ્યાનો અંત આવશે. વધુમાં આ નહેર પૂર્ણ થતાં નર્મદામાં પૂર વખતે ઉપલબ્ધ થતાં વધારાના પાણીમાંથી કચ્છને જે ૧ મિલિયન એકર ફૂટ પાણી ફાળવાયેલ છે તેના ભાગરૂપે રુદ્રમાતા ડેમમાં નર્મદાના પાણીનો સંગ્રહ થઈ શકશે. અંદાજીત રૂ. ૧૫૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ નહેરના કામ માટે સત્વરે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા પણ મુખ્યમંત્રીએ બેઠકમાં સૂચનાઓ આપી હતી.
આ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજિંગ ડિરેક્ટર અને અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા, સરદાર સરોવર નર્મદા નિગમના ડાયરેક્ટર સિવીલ અને કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ,જળ સંપત્તિ વિભાગના સચિવ અને ખાસ સચિવ તેમજ વરિષ્ઠ ઈજનેરો પણ ઉપસ્થિત રહ્યા હતા.