ડીસા માર્કેટયાર્ડ ચેરમેન અને ભાજપ નેતા માવજી દેસાઈ સહિત 7 સામે નોંધાઈ ફરિયાદ, રાજસ્થાનના 14 વેપારીઓ સાથે અંદાજીત 3 કરોડની છેતરપિંડી આચરી ફરાર થયાનો આરોપ
બનાસકાંઠામાં ડીસા માર્કેટયાર્ડના ચેરમેન અને ભાજપ નેતા સામે ફરિયાદ
માર્કેટયાર્ડના ચેરમેન માવજી દેસાઈ સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ
14 વેપારીઓ સાથે 3 કરોડની છેતરપિંડીનો આરોપ
રાજસ્થાનમાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં વપરાયેલા મટીરિયલના રૂપિયા નથી ચુકવ્યા
ડીસા માર્કેટયાર્ડના ચેરમેન અને ભાજપના નેતા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હોવાની ઘટના સામે આવી છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો બનાવ્યા બાદ મટીરીયલવાળાઓને પૈસા ન ચૂકવી છેતરપિંડી આચરતા ઉદયપુરના હિરન મગરી પોલીસ મથકે નોંધાતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.
મટીરિયલ સપ્લાયરોને નાણા ન ચુકવાતા નોંધાઈ ફરિયાદ
ડીસા માર્કેટયાર્ડના ચેરમેન અને ભાજપના નેતા માવજી દેસાઈ સામે રાજસ્થાનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે . કેસની મળતી માહિતી પ્રમાણે માવજીભાઈ દેસાઈની એરોમા રિયાલિટીઝ કંપની લિમિટેડ રાજસ્થાનમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 970 મકાન બનાવ્યા હતા. મટીરીયલ પૂરું પાડનાર વેપારીઓ સાથે કરાર કર્યા હતા. આ મકાનો બની ગયા બાદ એક પણ વેપારીને પૈસા ચૂકવવામાં આવ્યા નથી જે માટે 14 જેટલા વેપારીઓએ તેમના મટીરીયલ ના પૈસા માટે માવજી દેસાઈ પાસે વારંવાર ઉઘરાણી કરી હતી પરંતુ તેમને પૈસા આપવાના બદલે તેઓ ભાજપના નેતા હોવાનો રૌફ બતાવી વેપારીઓને ધમકાવ્યા હોવાનો આરોપ પણ લાગ્યો છે.
ઉદયપુરમાં હિરન મગરી પોલીસ મથકે ફરિયાદ
આખરે કંટાળેલા વેપારીઓએ ઉદયપુરમાં હિરન મગરી પોલીસ મથકે માવજી દેસાઈ સહિત સાત લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં 14 જેટલા વેપારીઓ પાસેથી માલ સામાન લીધા બાદ પૈસા ન ચુકવતા પોલીસે માવજી દેસાઈ સહિતે સાત લોકો સામે આઇપીસી કલમ 420 406 અને 420 બી મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે,
રાજસ્થાનના વેપારીઓએ રાજસ્થાનના CMને કરી છે રજૂઆત
રાજસ્થાનના 14 જેટલા વેપારીઓ સાથે છેતરપિંડી કરી ફરાર થઈ ગયેલી માવજી એન્ડ કંપની સામે રાજસ્થાન પોલીસે ફરિયાદ નોંધાતા કાર્યવાહીહાથ ધરી છે જ્યારે વેપારીઓએ પોતાના પૈસા પરત મેળવવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પણ લેખિત રજૂઆત કરી છે. એક મહિના બાદ પણ માવજી દેસાઈની કે તેમને સંલગ્ન એક પણ સાગરીતની અટકાયત કરવામાં આવી નથી.
માવજી દેસાઈ ધાનેરા બેઠક પરથી માંગી રહ્યા છે ટિકિટ
માવજી દેસાઈ ધાનેરા બેઠક પરના ભાજપના પ્રબળ દાવેદાર ઉમેદવાર મનાઈ રહ્યા છે. ગત ચૂંટણીમાં ધાનેરા બેઠક પરથી તેમની હાર હતી. આ વખતે પણ વિધાનસભામાં ભાજપની ટિકિટ માટે સોગઠાં ગોઠવી રહ્યા છે. તેવામાં ભાજપ સરકાર પણ આવા નેતાઓને ટિકિટ આપશે કે પછી કાપશે તે જોવું રહ્યું. ત્યારે છેતરપિંડીનો ભોગ બનનાર વેપારીઓ ન્યાયની માંગ કરી રહ્યા છે.