ગોંડલ શહેર-તાલુકા કડવા પાટીદાર સમાજની બેઠકમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ બળાપો કાઢ્યો, તેમણે કહ્યું, અનિરૂધ્ધસિંહ યાર્ડનું રક્ષણ કરવા માંગે છે, પરંતુ દૂધનું રક્ષણ કરવા બિલાડીને ન સોંપાઈ જવાબદારી.
ગોંડલની વિધાનસભા બેઠકમાં આંતરિક જંગ
જયરાજસિંહ જાડેજા અને અનિરૂધ્ધસિંહ જાડેજા વચ્ચે જંગ
પૂર્વ MLA જયરાજ સિંહ જાડેજાએ કાઢ્યો બળાપો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ મહતમ બેઠકો હાંસલ કરવા એડી ચોટીનુ જોર લગાવી રહી છે. આ વચ્ચે ગોંડલની વિધાનસભા બેઠક પર ઉમેદવારને લઇ બે જૂથ આમને સામને આવી ગયા છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ગોંડલ શહેર-તાલુકા કડવા પાટીદાર સમાજની બેઠકમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહપતસિંહ જાડેજાના પુત્ર અનિરૂધ્ધસિંહ. જાડેજા પર આકરા પ્રહાર કર્યા હતા.
રાજકારણમાં કોઈ કોઈના કાયમી મિત્રો નથી હોતાઃ જયરાજસિંહ
ગોંડલના વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પતિ અને પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, એક પણ શબ્દ ઘસાતો બોલવાનો મને અધિકાર નથી. પણ મિત્રો મારે દુઃખ સાથે એટલે કહેવું છે રાજકારણમાં કોઈ કોઈના કાયમી મિત્રો નથી હોતા અને કોઈ કોઈના કાયમી દુશ્મન નથી હોતા.
કડવા પાટીદાર સમાજની બેઠકમાં કર્યા પ્રહાર
તેમણે જણાવ્યું કે, 'અત્યારથી ગોંડલમાં બધી પ્લાનિંગની શરૂ થઈ ગઈ છે, જેમકે માર્કેટિંગ યાર્ડના ચેરમેન કોણ?, નગરપાલિકાના પ્રમુખ કોણ?, તાલુકા પંચાયતની કમાન કોને સોંપીશું, નાગરિક બેંક હવે કોને દઈશું. મને જે વાત મળે છે તે હું તમારી સમક્ષ મૂકુ છું કે અનિરૂધ્ધસિંહ. જાડેજા (રીબડા)ના સુપુત્ર રાજદીપભાઈ અત્યારથી ધારાસભ્ય બની ગયા છે. અનિરૂધ્ધસિંહ. એવું કહે છે કે યાર્ડનું રક્ષણ તો હું કરીશ. આમાં બે વસ્તુ ક્યાંય ભેગી નથી થતી. તમારે દૂધની ભલામણ કરવી હોય તો બિલાડીને દૂર રાખવી પડે. તમારો લોકર રૂમ હોય તો એને સ્ટોગ રાખવો પડે, લોકર રૂમના દરવાજા આગળ ગનમેન રાખવો પડે. ચોરને આ જવાબદારી ન સોંપાય. રીબડામાં જતા હશે એ બધાને ખબર છે કે રીબડાની અંદર જમીન કેવી રીતે વેચાય છે'
યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપના કાર્યક્રમમાં જયરાજસિંહની બાદબાકી કરાઈ
આપને જણાવી દઈએ કે, ગોંડલમાં થોડા દિવસ પૂર્વે યુદ્ધ એ જ કલાયણ ગ્રુપનો કાર્યક્રમ યોજાયો હતો, આ કાર્યક્રમમાં જયરાજસિંહની બાદબાકી કરાઈ હતી. આ કાર્યક્રમમાં નરેશ પટેલ, જયંતી ઢોલ, અલ્પેશ કથીરિયા, વરૂણ પટેલ સહિતના લોકો હાજર રહ્યા હતા. એક બાજુ ગોંડલ બેઠક પરથી જયરાજસિંહ પોતાના પરિવારમાંથી અથવા પોતાને ટિકિટ માટે પ્રબળ દાવેદાર માની રહ્યા છે. તો બીજી બાજુ યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપ અનિરૂદ્ધસિંહ જાડેજાની સાથે છે. અનિરૂદ્ધસિંહ પણ પોતાના પરિવાર અથવા ખૂદને ટિકિટ મળે તેવા પ્રયાસ કરી રહ્યા છે. વર્ષોથી અનિરૂદ્ધસિંહ અને જયરાજસિંહ જાડેજા જૂથ આમને સામને છે.
છેલ્લી બે ટર્મથી ભાજપ પાસે છે ગોંડલ બેઠક
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લી બે ટર્મથી ગોંડલ બેઠક ભાજપ પાસે છે. ગીતાબા જયરાજસિંહ જાડેજા ગોંડલના ધારાસભ્ય છે. ગોંડલ વિધાનસભા બેઠક પર કુલ 2,12,784 મતદારો છે. જેમાં 1,09,995 પુરુષ અને 1,02,789 મહિલા મતદારો છે. 2017ની ચૂંટણી સમયે જયરાજસિંહને હત્યાના કેસમાં રાજ્યની બહાર રહેવાની શરતે જામીન મળ્યા હતા. એ કારણે ગોંડલ બેઠક પર તેમના પત્નીને ટિકિટ મળી હતી. વિધાનસભાની ચૂંટણીમાં ગીતાબા જયરાજસિંહ જાડેજાનો વિજય થયો હતો.