ધાનેરાના એક પરિવારે અંધશ્રદ્ધામાં 35 લાખ રૂપિયા ગુમાવ્યા છે. અંધશ્રદ્ધાનો વરવો કિસ્સો બહાર આવતાં સમગ્ર ધાનેરા પંથકમાં ખળભળાટ મચી ગયો છે.
ધાનેરામાં અંધશ્રદ્ધામાં પરિવારે ગુમાવ્યા 35 લાખ
દુઃખ દૂર કરવાના નામે ભૂવાએ ખંખેર્યા 35 લાખ
પરિવારને છેતરપિંડીનો અહેસાસ થતાં બનાવ્યો વીડિયો
પોલીસને વીડિયો આપી પરિવારે છેતરપિંડીની કરી ફરિયાદ
વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાના પણ અંધશ્રદ્ધાના બનાવો સામે આવી રહ્યા છે, બનાસકાંઠા જિલ્લામાં એક પરિવારે અંધશ્રદ્ધામાં લાખો રૂપિયા ગુમાવ્યા છે. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં પરિવારે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
દુઃખ દૂર કરવાના નામે ભૂવાએ ખંખેર્યા 35 લાખ
પ્રાપ્ત વિગતો અનુસાર, ધાનેરા તાલુકાના ગોલા ગામના બે ભાઈઓને ધાનેરા અને થરાદના 5 ભૂવાઓએ ભેગા મળીને દુઃખો દૂર કરવાની લાલચ આપી હતી. તેઓએ આ દુઃખ દૂર કરવા માટે એક કરોડ સુધીનો ખર્ચ થશે એમ જણાવી બંને ભાઈઓ પાસેથી 35 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા.
છેતરાયાનો અહેસાસ થતાં બનાવ્યો વીડિયો
ધાનેરા અને થરાદના 5 ભૂવાઓએ ભેગા મળીને બંને ભાઈને કહ્યું હતુ કે કોઈએ તમારા ઘરમાં માતા મૂકી છે. આ વિધિ કરવા માટે તમારે બાધા રાખવી પડશે. જેથી ભૂવાઓની વાતમાં આવીને બંને ભાઈઓએ 35 લાખ રૂપિયા ભૂવાને વિધિ દરમિયાન આપ્યા હતા. જોકે, પોતાની સાથે છેતરપિંડી થઈ રહી હોવાનું ધ્યાને આવતા પરિવારે આ અંગેનો એક વીડિયો પણ બનાવ્યો હતો. જોકે, આ વીડિયોની VTV ન્યૂઝ પુષ્ટી કરતું નથી.
પોલીસને વીડિયો આપી છેતરપિંડીની કરી ફરિયાદ
બંને ભાઈઓએ વિધિ દરમિયાન ઉતારેલો વીડિયો પોલીસને આપી આરોપીઓને ઝડપી પાડવા ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ ધાનેરા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
સળગતા સવાલો
રાજ્યમાંથી અંધશ્રદ્ધા ક્યારે દૂર થશે?
વિજ્ઞાનના જમાનામાં પણ લોકો અંધશ્રદ્ધામાં કેમ માને છે?
વિધિ કરવાથી દુઃખ દૂર ન થાય તે લોકો ક્યારે સમજશે?
લોકો ક્યાં સુધી અંધશ્રદ્ધાના નામે રૂપિયા ગુમાવશે?
ભૂવાઓ ક્યાં સુધી લોકોની લાગણી સાથે રમત રમશે?