ભાવનગરમાં એક પરિવારે આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર, આર્થિક કટોકટી અને સંકળામણના લીધે પરિવારે ગટગટાવી ઝેરી દવા, મહિલાનું મૃત્યુ અને પિતા-પુત્રની હાલત ગંભીર.
ભાવનગર શહેરના બાલયોગી નગર વિસ્તારમાં રહેતા એક પરિવારે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા હડકંપ મચી ગયો છે. આ બનાવમાં પરિવારના 3 સભ્યોમાંથી મહિલાનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે પિતા-પુત્રની હાલત ગંભીર હોવાથી સારવાર હેઠળ છે.
પતિ-પત્ની અને પુત્રએ ઝેરી દવા ગટગટાવી
મળતી માહિતી અનુસાર, શહેરના બાલયોગી નગરમાં રહેતા એક પરિવારના ત્રણ સભ્ય પતિ-પત્ની અને પુત્રએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવની સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરાતા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનની ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી અને ત્રણેયને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું છે.
પિતા-પુત્રની હાલત ગંભીર હોવાથી સારવાર હેઠળ
જ્યારે પિતા-પુત્રની હાલત ગંભીર હોવાથી તેઓની સારવાર ચાલી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આર્થિક કટોકટી અને સંકળામણના લીધે પરિવારે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ આ મામલે ઘોઘા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરામાં મિસ્ત્રી પરિવારે ટૂંકાવ્યું જીવન
અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ વડોદરામાંથી પણ આવો જ બનાવ સામે આવ્યો હતો. શહેરના વાઘોડિયા રોડ પર રહેતા મિસ્ત્રી પરિવારે સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. શહેરના વાઘોડિયા રોડ પર આવેલા દર્શનમ ઉપવન ખાતે પ્રિતેશ પ્રતાપભાઇ મિસ્ત્રી (ઉ.વ.30) તેમની પત્ની સ્નેહા (ઉ.વ.32) તથા સાત વર્ષના પુત્ર હર્ષિલ સાથે રહેતા હતા. બે દિવસ પહેલા તેમના ઘરમાંથી પ્રિતેશભાઈનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો અને તેમના સાત વર્ષના પુત્ર હર્ષિલનો મૃતદેહ બેડ પર અને પત્ની સ્નેહાનો મૃતદેહ બેડની બાજુમાં નીચે જમીન પરથી મળી આવ્યો હતો.
પોલીસ કરી રહી છે તપાસ
આ બનાવની જાણ થતાં પાણીગેટ પોલીસની ઘટનાસ્થળે દોડી આવી હતી અને ત્રણેય મૃતદેહને પી.એમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પી.એમ.થયા પછી મોડી રાતે અઢી વાગ્યે પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા હતા અને પરિવારજનોએ ભારે હૈયે ત્રણેયની અંતિમવિધિ કરી હતી.