હાટકેશ્વર બ્રિજ અંગે 15 એપ્રિલ સુધીમાં નિર્ણય લેવાઇ શકે છે. AMC કમિશનરે બ્રિજની તપાસ માટે કમિટી બનાવી છે. જાણો શું છે સમગ્ર મામલો VTV gujarati પર
અમદાવાદના હાટકેશ્વર બ્રિજ મામલે મોટા સમાચાર
બ્રિજ મામલે 15 એપ્રિલ સુધીમાં લેવાશે નિર્ણય
મ્યુ.કમિશનરે બ્રિજ તપાસ મામલે બનાવી કમિટી
અમદાવાદના હાટકેશ્વર બ્રિજ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા બ્રિજની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીને તપાસ કરી 15 એપ્રિલ સુધીમાં રિપોર્ટ કરવાની સૂચના આપવામાં આવી છે. તપાસ કમિટીના રિપોર્ટ બાદ બ્રિજ તોડવો કે નહીં તે અંગેનો નિર્ણય લેવાશે.
ટેસ્ટ અને રિપોર્ટના આધારે કરાશે કાર્યવાહી
હાટકેશ્વર બ્રિજની તપાસ માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા બનાવવામાં આવેલી કમિટીમાં બ્રિજ એક્સપર્ટ, સ્ટ્રેન્ધન એક્સપર્ટ અને રૂડકીના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી દ્વારા હાટકેશ્વર બ્રિજની તપાસ કરવામાં આવશે. આ અધિકારીઓ દ્વારા સમગ્ર બ્રિજ મામલે તપાસ કરી અને આગામી 15 એપ્રિલ સુધીમાં રિપોર્ટ આપવામાં આવશે.
નિર્ણય લેવાયા બાદ પોલીસ ફરિયાદ પણ થશે
હાટકેશ્વર બ્રિજના ટેસ્ટ અને રિપોર્ટના આધારે AMC કમિશનર કાર્યવાહી કરશે. કમિટીના રિપોર્ટ બાદ કોન્ટ્રાક્ટર અજય ઇન્ફ્રા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થઈ શકે છે. તપાસ કમિટીના રિપોર્ટ બાદ જવાબદાર સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરાશે.
હાટકેશ્વર બ્રિજ હાલ રાજ્યમાં ચર્ચાનો વિષય
અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ હાલ રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે માત્ર 5 વર્ષમાં બ્રિજની હાલત ખખડધજ થઈ ગઈ છે. પ્રજાના ટેક્સના પૈસા પાણીમાં ડૂબાડ્યા છે. તંત્રએ હવે આ બ્રિજને લઇ તપાસ શરૂ કરી છે. હાટકેશ્વર બ્રિજને લઈને VTV NEWSના અહેવાલ બાદ AMC જાગ્યું હતું. હાટકેશ્વર બ્રિજ કૌભાંડ મામલે તપાસના આદેશ બાદ મનપા કમિશનર એમ થેન્નારાસન અને મુકેશ કુમાર બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. હાટકેશ્વર બ્રિજના બે એજન્સીના રિપોર્ટ IIT રૂડકી ખાતે મોકલવામાં આવ્યા છે.
બ્રિજનું કર્યું હતું નિરીક્ષણ
સરકારી આદેશ બાદ મનપા કમિશનર બ્રિજની સ્થળ તપાસ કરવા પહોંચ્યા હતા અને બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. આ અંગે કમિશનરએ જણાવ્યું હતું કે, રૂડકી ખાતે રિપોર્ટ મોકલવામાં આવ્યા છે રિપોર્ટ આવ્યા બાદ નિર્ણય લેવામાં આવશે. અને જે તે અધિકારી જવાબદાર હશે તેમની સામે પગલાં લેવામાં આવશે. હાટકેશ્વર બ્રિજ કૌભાંડ મામલે વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણે પણ આક્ષેપો કરતા કહ્યું હતું કે, બ્રિજને લઈ હજુ સુધી કોન્ટ્રાકટર કે જવાબદાર અધિકારીને નથી નોટિસ અપાઈ. અગાઉ અજય ઇન્ફ્રાસ્ટક્ચરને રૂ 2.36 કરોડની પેનલ્ટી લાગી હતી. જોકે, અજય ઇન્ફ્રાસ્ટક્ચરને માત્ર 23 લાખ ભરીને પતાવટ કરવામાં આવી હતી. સત્તધીશોના અજય ઇન્ફા સામે કાર્યવાહી નથી થઇ રહી અને તેને છાવરવામાં આવી હોવાના વિપક્ષ નેતા આક્ષેપો કર્યા હતા.