આજના સમયમાં શિક્ષણ (Education) ખૂબ મોંઘું થઈ ગયું છે. એવામાં વડોદરાનો એન્જિનિયર નિકુંજ ત્રિવેદી ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના અભ્યાસ પાછળ પોતાની સેલરીની 25 ટકા રકમ ખર્ચ કરે છે.
વડોદરાનો સિવિલ એન્જિનિયર ફૂટપાથ પર ચલાવે છે પાઠશાળા
જરૂરિયાતમંદ બાળકોને નિકુંજ ત્રિવેદી આપે છે મફત શિક્ષણ
સવારથી સાંજ સુધી નોકરી કરે છે અને પછી સાંજે બાળકોને ભણાવે છે
વાલીઓને જ્યારે બાળકોની સ્કૂલ ફી અને ટ્યુશન ફી ભરવામાં મુશ્કેલી પડતી હોય છે. એવામાં નિકુંજ પાસે KGથી માંડીને 10માં ધોરણ સુધી અભ્યાસ કરવા માટે બાળકો આવે છે. આ બાળકોની સંખ્યા 100ની આસપાસ હોય છે. જેમાંથી કેટલાંક બાળકો સરકારી અને ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરે છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં ફૂટપાથ પર નિકુંજ સ્ટ્રીટલાઇટના અજવાળે બાળકોને મફતમાં શિક્ષણ આપે છે.
I teach the students of std 5-10 their syllabus & clear the basics of younger students; make them write in Gujarati, English & Hindi. Public helps us (financially) & I pay the school fees of 5-6 students. Students who I taught before are now helping me to teach: Nikunj Trivedi pic.twitter.com/zsVkSELav5
આ અંગે નિકુંજ ત્રિવેદીએ કહ્યું કે, 'હું કોઇ પણ બાળકો પાસેથી પૈસા નથી લેતો. સાથે મારી કોશિશ પણ એવી રહે છે કે, તે તમામ બાળકોને પૂરતો સમય આપી શકે અને સારી શિક્ષા આપી શકે.' તમને જણાવી દઇએ કે, નિકુંજ ત્રિવેદી હાલોલની ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરે છે. નિકુંજ ત્રિવેદી વધુમાં જણાવ્યું કે, 'હું સવારથી સાંજ સુધી નોકરી કરું છું અને રોજ સાંજના 7થી 9 વાગ્યા દરમિયાન આસપાસના સ્લમ વિસ્તારનાં બાળકોને ફ્રીમાં શિક્ષણ આપુ છું. આ એવાં બાળકો છે કે જેમનો પરિવાર ટ્યુશન ફીનો ખર્ચ કરી નથી શકતો. હું શરૂઆતમાં NGO સાથે જોડાઇને બાળકોને શિક્ષણ આપતો હતો પરંતુ કોરોના બાદ NGO બંધ થઇ ગઇ હતી. પરંતુ મારે બાળકો માટે કંઇક કરવાની ઇચ્છા હતી. જેથી મે બાળકોને સુએઝ પમ્પિંગ સ્ટેશનની બહાર બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. મે 8 મહિના પહેલાં 5થી 6 બાળકોને ભણાવવાનું શરૂ કર્યું હતું અને આજે 95થી 100 જેટલાં બાળકો મારી પાસે ભણવા માટે આવે છે.'
નાના બાળકોને ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીમાં વાંચતા-લખતા શીખવે છે
નિકુંજ ત્રિવેદીએ જણાવ્યું કે, 'તેઓ ધોરણ 5-10ના વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસક્રમ ભણાવે છે. જ્યારે નાના બાળકોને પાયાનું શિક્ષણ આપે છે. નાના બાળકોને ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીમાં વાંચતા-લખતા શીખવે છે.' નિકુંજે જણાવ્યું કે, 'ધોરણ 5 અને 6ના વિદ્યાર્થીઓની શાળાની ફી તેઓ ભરી રહ્યાં છે કે જેઓ આર્થિક રીતે ખૂબ નબળા છે. જે વિદ્યાર્થીઓને મે અગાઉ ભણાવ્યું હતું તેઓ હવે મને ભણાવવામાં મદદ કરી રહ્યાં છે.'
નિકુંજની કામગીરીથી અન્ય યુવક-યુવતીઓ પણ તેમની સાથે જોડાયાં
નિકુંજ ત્રિવેદી સેવાયજ્ઞના કારણે શહેરના સ્લમ વિસ્તારનાં બાળકોને સારું શિક્ષણ મળતું થયું છે. ત્યારે વિશેષમાં તમને જણાવી દઇએ કે, નિકુંજની કામગીરીથી અન્ય યુવક-યુવતીઓ પણ તેમની સાથે જોડાયાં છે. આમ, તેઓની કામગીરી સમાજ માટે પણ પ્રેરણારૂપ બની રહી છે. તેઓ એવા યુવાનો માટે પ્રેરણારૂપ બની રહ્યાં છે કે જેઓ ભણીગણીને ગરીબ લોકોની મદદ કરવા ઇચ્છે છે. આવાં લોકો સમય કાઢીને પોતાનું કામ કરી શકે છે અને ગરીબ બાળકોને ભણાવી શકે છે.