'તું મને છેલ્લા એક વર્ષથી કોર્ટના ઘક્કા ખવડાવે છે, હવે હું કંટાળી ગયો છું. તારી સાથે કોઈ સંબંધ રાખવા માંગતો નથી' કહીને પતિ પત્નીને રસ્તા પર જ ત્રિપલ તલાક આપીને જતો રહ્યો.
દાણીલીમડામાં ત્રિપલ તલાક
પતિએ રોડ પર પત્નીને આપ્યા તલાક
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
અમદાવાદના દાણીલીમડામાં ત્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો છે. પતિએ જાહેર રોડ પર પત્નીને ત્રિપલ તલાક આપતા પત્નીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વર્ષ 2018માં જુહાપુરાના યુવક સાથે થયા હતા લગ્ન
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2018માં જુહાપુરાના યુવક સાથે લગ્ન થયા હતા. જોકે, લગ્નના થોડા સમય બાદ યુવતીને સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કરી દીતા તે દાણીલીમડામાં પિયરમાં રહેવા માટે આવી ગઈ હતી. જે બાદ યુવતીએ આ મામલે વર્ષ 2022માં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જેથી આ કેસ કાર્ટમાં ચાલી રહ્યો હતો.
યુવતીના પિતાએ સમજાવવાનો કર્યો પ્રયાસ
ગઈકાલે યુવતી તેના પિતા અને ભાઈ સાથે બહાર નાસ્તો કરવા માટે ગઈ હતી. આ દરમિયાન તેઓ નાસ્તાની લારી પર ઉભા ઉભા નાસ્તો કરી રહ્યા હતા. આ દરમિયાન યુવતીનો પતિ ત્યાંથી નીકળો હતો. તેથી યુવતીના પિતાએ જમાઈને રોક્યો હતો અને દીકરીના ઘર સંસાર અંગે વાત કરી હતી. જેથી યુવતીનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે તેની પત્નીને કહ્યું હતું કે, 'તું મને છેલ્લા એક વર્ષથી કોર્ટના ઘક્કા ખવડાવે છે, હવે હું કંટાળી ગયો છું. મારા લગ્નની બીજે વાત ચાલી રહી છે. હું તારી સાથે હવે કોઈ સંબંધ રાખવા માંગતો નથી, હું તને તલાક આપું છું.'
રસ્તા પર જ આપી દીધા તલાક
જે બાદ યુવકે ગુસ્સામાં રસ્તા પર ત્રણ વાર તલાક-તલાક-તલાક બોલીને ચાલ્યો ગયો હતો. યુવકે પત્નીને રોડ પર જ ત્રણ વાર તલાક કહી દેતા યુવતીને આઘાત લાગ્યો હતો. યુવતીનું બ્લડ પ્રેશર વધી જતા તેને ચક્કર આવતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ મામલે યુવતીએ ફરિયાદ આપતા હવે દાણીલીમડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
2019માં લાવવામાં આવ્યો હતો કાયદો
દેશમાં ટ્રિપલ તલાક એટલે કે એક સાથે ત્રણ વખત 'તલાક' શબ્દ બોલીને પત્નીને છુટાછેડા આપવાને એક અપરાધ માનવામાં આવે છે. ત્રણ તલાક (તલાક-એ-બિદ્દત) પર પ્રતિબંધ મુકવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવેલું બિલ વર્ષ 2019માં લોકસભા પછી રાજ્યસભામાંથી બહુમતિ સાથે પસાર થઈ ગયું હતું અને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ કાયદો બન્યો હતો.
કાયદામાં કેવી છે જોગવાઇઓ?
- ત્રણ વખત 'તલાક' બોલીને પત્નીને છૂટાછેડા આપનાર પતિને મહત્તમ 3 વર્ષની સજા થઈ શકે છે.
- પીડીતા કે તેના સંબંધીઓ આવા તલાક બાબતે પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાવી શકે છે.
- કોઈ પણ સ્વરૂપમાં આપેલી ત્રણ તલાક ગેર-કાયદે ગણાશે.
- જો કોઈ પણ મુસ્લિમ પતિ તેની પત્નીને ત્રણ વખત 'તલાક' બોલીને છૂટાછેડા આપશે તો તે ગેર-કાયદે ગણાશે. એટલે કે, તેણે આપેલા તલાક માન્ય રહેશે નહીં.
- જે કોઈ ત્રણ તલાક આપશે, તેને ત્રણ વર્ષની જેલની સજા અને દંડ પણ થઈ શકે છે.
- ત્રણ તલાક આપવા એ હવે બિનજામીનપાત્ર અને ગંભીર અપરાધ બની ગયો છે.
- ત્રણ તલાકથી પીડિત મહિલા પોતાના અને પોતાના સગીર વયના બાળકો માટે કોર્ટમાં ભરણ-પોષણનો દાવો કરી શકે છે.
- કેટલું ભરણ-પોષણ આપવું એ કોર્ટ નક્કી કરશે.
- મહિલા પોતાના સગીર વયના બાળકોની કસ્ટડી માટે પણ કોર્ટનો દરવાજો ખટખટાવી શકે છે.