સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દેવચરાડી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવત રાખી બે જૂથો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જેમાં એક યુવાનની લોથ ઢળી હતી. સમગ્ર મામલે મહિલા PIની બદલી કરવામાં આવી છે.
સુરેન્દ્રનગરના દેવચરાડી ગામે યુવકની હત્યાનો મામલો
ફરજમાં બેદરકારી બદલ મહિલા PIની કરાઈ બદલી
2 અલગ અલગ જ્ઞાતિના જૂથો વચ્ચે થઈ હતી અથડામણ
સુરેન્દ્રનગર જિલ્લામાં જાણે કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડતા હોય તેવા બનાવો વારંવાર સામે આવે છે. જેમાં લૂંટ, હત્યા, ખંડણી, અથડામણો, ફાયરિંગ, જેવા બનાવોએ જિલ્લાને જાણે યુપી-બિહાર બનાવી દીધું હોય તેવું લોકોને લાગી રહ્યું છે. તેવામાં તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દેવચરાડી ગામે બે જૂથો વચ્ચે અથડામણ સર્જાઈ હતી તેમાં એક યુવાનનો ભોગ લેવાતા ચકચાર મચી છે. ફરજમાં બેદરકારી બદલ મહિલા PI ટી.બી. હિરાણીની તાત્કાલિક અસરથી બદલી કરાઈ છે. મૃતક યુવકના પરિવારજનોએ પીઆઈ અને કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. જોકે, પરિવાર દ્વારા હજુ સુધી યુવકનો મૃતદેહ સ્વિકારવામાં આવ્યો નથી.
બે જૂથો આવી ગયા હતા આમને સામને
આ સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર, ગ્રામ પંચાયતની ચૂંટણીની અંગત અદાવતમાં બે જૂથો આમને સામને આવી ગયા હતા અને એક જૂથે હથિયારો ધારણ કરી અને દેવચરાડીના પૂર્વ સરપંચ વાલજીભાઈના પરિવાર ઉપર હુમલો કર્યો હતો. લાકડી, તલવાર, લોખંડના પાઇપ જેવા ઘાતક હથિયારો સાથે એક ટોળું વાલજીભાઈના ઘેર ઘસી ગયું અને બેરહેમી પૂર્વક હુમલો કર્યો હતો. જેમાં વાલજીભાઈ, તેમના પત્ની અને ભત્રીજા જગદીશને ગંભીર ઇજાઓ થઈ હતી. આ કેસમાં વાલજીભાઈના ભત્રીજા જગદીશનું સારવાર દરમિયાન મોત નિપજતા મામલો હત્યામાં પલટાયો હતો. દલિત સમાજના વાલજીભાઈના પરિવાર ઉપર થયેલા હુમલાને લઈ અને લોકોના ટોળાઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.
પોલીસ કોન્સ્ટેબલ અને પી.આઈ સામે ગંભીર આક્ષેપો
જગદીશના મોતને લઈને ધ્રાંગધ્રા તાલુકામાં પડઘા પડ્યા હતા અને ગઈકાલે ધ્રાંગધ્રા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. મોડી રાત્રે પોલીસે ધ્રાંગધ્રામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને દેવચરાડી ગામે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બીજી તરફ આ ઘટનાને લઈને વાલજીભાઈના પરિવારજનોએ એક પોલીસ કોન્સ્ટેબલ અને પી.આઈ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને ફરિયાદમાં ઢીલ કરી હોવાનું જણાવતા લોકોમાં આક્રોશ ફેલાયો હતો અને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
13 શખ્સો સામે ફરિયાદ
ધ્રાંગધ્રા શહેરના આગેવાનો, રાજકીય આગેવાનો સહિતના લોકોએ પોલીસ સાથે મધ્યસ્થી કરી અને પરિવાર સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ જ્યાં સુધી પરિવારને પોલીસ રક્ષણ હથિયારનું લાયસન્સ અને આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાં સુધી લાશ સ્વીકારવા નહીં આવે તેવું પરિવારજનોએ જણાવ્યું હતું. જોકે, ધ્રાંગધ્રા પોલીસે હુમલો કરનાર દેવચરાડી ગામના જ 13 શખ્સો સામે ફરિયાદ નોંધી અને પાંચ શખ્સોને પકડી પાડ્યા છે.