ગુજરાત પોલીસમાં જાસૂસીકાંડ મામલે ભરૂચ પોલીસમાં ફરજ બજાવતા બે પોલીસકર્મી જ બુટલેગરોને ઉચ્ચ અધિકારીઓનું લોકેશન આપતા બન્ને કોન્સ્ટેબલ અને બે કુખ્યાત બુટલેગર સામે ગુનો દાખલ કરાયો.
ગુજરાત પોલીસમાં જાસૂસી કાંડ મામલો
2 પોલીસકર્મી, 2 બુટલેગર સામે ફરિયાદ
પોલીસકર્મી જ બુટલેગરો માટે કરતા હતા કામ
ગુજરાત પોલીસમાં જાસૂસીકાંડનો મામલો સામે આવ્યો હતો જેમા ભરૂચ પોલીસમાં ફરજ બજાવતા બે પોલીસકર્મી જ બુટલેગરોને ઉચ્ચ અધિકારીઓને લોકેશન આપતા હતા. આ મામલે આખરે પોલીસે બન્ને કોન્સ્ટેબલ અને બે બુટલેગર સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે.
પોલીસનું લોકેશન જ બુટલેગરોને વેચવાનું શરૂ કરી દીધું હતું
ગુજરાત પોલીસને હચમચાવી દેનારા ભરૂચ LCBના બે કોન્સ્ટેબલો બુટલેગરો માટે પૈસા લઈ પોલીસની જ જાસૂસીકાંડ કરતા હતાં. બે બુટલેગરો સહિત બન્ને અપરાધી કોન્સ્ટેબલો સામે એક વર્ષથી લઈ આજીવન કેદ સુધીની સજાની જોગવાઈઓ કરતી કલમો ફરિયાદમાં દાખલ કરવામાં આવી છે. ભરૂચ LCBમાં વર્ષોથી ટેક્નિકલ સર્વેલન્સમાં રહેલા બે કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકીએ પૈસા માટે પોલીસનું લોકેશન જ બુટલેગરોને વેચવાનું શરૂ કરી દીધું હતું.
પોલીસ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરાયા
છેલ્લા કેટલાક સમયથી સ્ટેટ મોનીટરીંગ સેલ SMCની બુટલગરો ઉપર રેઇડ નિષ્ફળ જતા SP નિરલીપ રાયને શંકા ગઈ હતી. તેઓએ DYSP કે.ટી.કામરીયા સાથે તપાસ કરતા ભરૂચ LCBના ટેક્નિકલ સર્વેલન્સમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકીની પોલીસના જ લોકેશનો બુટલેગરોને પહોંચાડવાની ભૂમિકા સામે આવી હતી. SMCએ આ અંગેનો પ્રાથમિક રિપોર્ટ તત્કાલીન DGP આશિષ ભાટિયાને કરતા ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે તાત્કાલિક એક્શન લઈ બન્ને પૈસા માટે બુટલેગરોના હાથે વેચાઈ ગયેલા પોલીસ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દીધા હતા. ખૂબ જ ગંભીર ગુનાહિત કૃત્ય અંગે ભરૂચ SPએ તપાસ અંકલેશ્વર DYSP ચિરાગ દેસાઈને પોતાની સીધી દેખરેખ હેઠળ સોંપી હતી.
DYSP દ્વારા 18 દિવસ કરતા વધુની સઘન તપાસ બાદ આજે બી ડિવિઝનમાં SOG પીઆઇ આનંદ ચૌધરીએ બન્ને કોન્સ્ટેબલ અને બુટલેગરો સામે ફરિયાદ નોંધાવી છે. પબ્લિક સેવક અને પોલીસમાં જ રહી પોલીસની જ જાસૂસી બુટલેગરો માટે કરતા બન્ને કોન્સ્ટેબલ, બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થ તેમજ પરેશ ચૌહાણ ઉર્ફે ચકા સામે કાર્યવાહી હાથ ધરાઈ છે.