અતિવૃષ્ટિને કારણે થયેલા નુકશાન પર કરવામાં આવશે ચર્ચા
ગુજરાતમાં માવઠાની આગાહી મુદ્દે પણ કરાશે મંથન
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે યોજાનારી કેબિનેટ બેઠકમાં ગુજરાતમાં વરસાદની આગાહી તથા ગત મોડી રાતથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં પડેલા માવઠા અંગે પણ ચર્ચા કરવામાં આવી શકે છે.
વિવિધ મુદ્દે થશે ચર્ચા
તેમજ આ બેઠકમાં રાજ્યમાં વધી રહેલ કોરોના કેસ, કોરોના ટેસ્ટિંગ અને રસીકરણ બાબતે ચર્ચા થશે. તેમજ વાયબ્રન્ટ ગુજરાત તૈયારીઓ , મગફળી ખરીદી અને કોરોના સહાય પોર્ટલ બાબતે બેઠકમાં ચર્ચા થશે. આ ઉપરાંત રાજ્યમાં ઈંડા લારીઓ હટાવવા બાબતે અને રાજ્યમાં ગેરકાયદે ડ્રગ્સ હેરાફેરી બાબતે કેબિનેટમાં ચર્ચા થશે.
ગઈકાલે જ સરકારે જાહેર કર્યું છે ખેડૂતો માટે રાહત પેકેજ
અતિવૃષ્ટિથી પાક નુકસાની મામલે સરકારનો મોટો નિર્ણય લીધો છે. વધુ 9 જિલ્લાઓમાં પાક નુકસાન મુદ્દે સહાય કરવા સરકારે મન બનાવ્યુ છે. આજે મળેલી બેઠક બાદ સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આ અંગે જાહેરાત કરતાં કહ્યું હતું કે સરકારે બાકી રહેલા જિલ્લાએ માટે 531 કરોડનું ખેડૂત સહાય પેકેજ જાહેર કર્યું છે. જેમાં હેકટર દીઠ 6800 રૂપિયા ખેડૂતોને આપવામાં આવશે.અડધા હેકટર માટે 4000 સહાય આપવામાં આવશે જ્યારે મહત્તમ બે હેકટર માટે સહાયનું ચૂકવાનું કરવામાં આવશે.આ માટે 6 ડિસેમ્બરથી આઈ પોર્ટલ પર અરજી લેવાશે જે 24 ડિસેમ્બર સુધી અરજી સ્વીકારવામાં આવશે. પછી ખરાઈ કરી ખેડૂતોને મળવા પાત્ર સહાય સીધી બેન્ક એકાઉન્ટમાં આપવામાં આવશે.
કયા કયા જિલ્લાઓ માટે સહાયની જાહેરાત
જીતુ વાઘાણીએ 5 લાખ ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરતાં કહ્યું હતું કે 9 જિલ્લા 37 તાલુકાને સહાય મળવા પાત્ર થશે. જેમાં અમદાવાદ, બોટાદ, જુનાગઢ, ભાવનગર, છોટાઉદેપુર, પંચમહાલ, અમરેલી, ભરૂચ, વડોદરાના ખેડૂતોને સરકાર સહાય આપશે. 1530 ગામના ખેડૂતોને સીધો લાભ મળશે. જ્યારે કુલ 7.65 લાખ હેક્ટર જમીન માટે આ સહાયની ફાળવણી કરવા આવી હોવાની માહિતી પણ વાઘાણીએ આપી હતી.