ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે મોડી સાંજે તે અંગે મોટી જાહેરાત કરવામાં આવી હતી. RBIએ કહ્યું કે, આ નિર્ણય 'ક્લીન નોટ પોલિસી' હેઠળ લેવામાં આવ્યો છે. આ જાહેરાત બાદથી દેશભરમાં હંગામાનું વાતાવરણ છે. રિઝર્વ બેંકના આ નિર્ણય બાદ લોકો 2 હજારની નોટો વટાવવા અવનવી તરકીબો અજમાવી રહ્યા છે. લોકો પેટ્રોલ પંપ 2 હજારની નોટ વટાવવા આવી રહ્યા છે. અત્યાર સુધી પેટ્રોલ પંપ પર પેટ્રોલ કે ડીઝલ પૂરાવ્યા બાદ જે લોકો ડિજિટલ પેમેન્ટ કરતા હતા, તેઓ પણ હવે પેટ્રોલ કે ડીઝલ પુરાવીને 2 હજારની ગુલાબી નોટ આપી રહ્યા છે.
વેપારીએ કરી અનોખી પહેલ
કેટલાક વેપારીઓએ તો 2 હજારની નોટો સ્વીકારવાનું પણ બંધ કરી દીધું છે. એવામાં જામનગરના એક વેપારીએ અનોખી પહેલ કરી છે. જામનગરના મીઠાઈના વેપારી અજય ચોટાઇએ 2 હજારની નોટ સ્વીકારવા અનોખી પહેલ કરી છે. જેનાથી 2 હજારની નોટ લઈને સામાન લેવા આવતા ગ્રાહકને ફાયદો થશે. તેમણે 2 હજારની નોટ સામે 2 હજાર 100નો સામાન આપવાની સ્કીમ શરૂ કરી છે.
અમે 2 હજારની સામે 2100નો સામાન આપીશુંઃ વેપારી
આ સ્કીમ વિશે માહિતી આપતા વેપારીના દીકરા યશે જણાવ્યું કે, વર્તમાન સમયમાં તમે ગમે ત્યાં જાવ ત્યાં ગ્રાહકો 2000ની નોટ આપવા માટે તૈયાર છે, પરંતુ વેપારી સ્વીકારવા માટે રાજી નથી. આ સમયે અમે એવી સ્કીમ ચાલું કરી છે. અમે 2 હજારની નોટ સ્વીકારીશું, જેની સામે અમે તમને 2100નો સમાન આપીશું. જે કોઈ 2 હજારનો સમાન લેશે, તેને 100 રૂપિયા વધારેનો સમાન એટલે કે 2100નો સામાન આપીશું.
વેપારીનું આવકારદાયક પગલુંઃ ગ્રાહક
ગ્રાહક દીલીપભાઈ જણાવ્યું કે, આ વેપારીનું આવકારદાયક પગલું છે. અન્ય વેપારીઓએ પણ આવા પગલા ભરવા જઈએ. વેપારીઓએ ગ્રાહકો પાસેથી 2 હજારની નોટ સ્વીકારવી જોઈએ.