ઉત્તર પ્રદેશના ઇટાહ જિલ્લાની ફટાકડાની એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. ધમાકો થવાને પગલે 6 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. તો વળી કેટલાક લોકો ઘાયલ પણ થયા હોવાની જાણકારી સ્થાનિક સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ છે.
ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ
ઉત્તર પ્રદેશના ઇટાહ જિલ્લાની ઘટના
6 લોકોના કમકમાટીભર્યા મોત, અનેક ઘાયલ
આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ
નોંધનીય છે કે, બ્લાસ્ટ થવાની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો જો કે, આ બનાવમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા પંજાબની એક ફટાકડા બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાને પગલે 23 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા તો મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયાં હતા.
બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઇ
આ બનાવ અંગેની જાણકારી નજીકના પોલીસ મથકે થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બ્લાસ્ટને પગલે એક ઇમારત પણ ઘરાશાયી થવાની ઘટના બની હતી. જો કે, JCB મશીન દ્વારા હાલ બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. જો કે, આ બનાવમાં 6 લોકોના મોત થયાં હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થયેલ છે. આ આંકડો વઘવાની સંભાવના છે.
બ્લાસ્ટને પગલે સ્થાનિકોના જીવ પડીકે બંધાયા
પ્રાપ્ત થયેલ જાણકારી મુજબ, મિરહચીના ગડ્ડાના એક મકાનમાં ફટાકડા બનાવવાનું કામ ચાલતું હતું. ત્યારે અચાનક કોઇ અગમ્ય કારણોસર બ્લાસ્ટ થયો હતો. જો કે, ત્યારબાદ વધુ કેટલાક બ્લાસ્ટ પણ થતાં ચારે તરફ ઘુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા. આ બનાવને પગલે ફેક્ટરીના આસપાસ રહેતા લોકોના જીવ પડીકે બંધાયા હતા.
આસપાસના મકાનો પણ થયાં ક્ષતિગ્રસ્ત
નોંધનીય છે કે, ઘટના સ્થળ પર આશરે 15 લોકો હાજર હતા. જેમાં કેટલાક બાળકો તથા કેટલીક મહિલાઓનો સમાવેશ થાય છે. બ્લાસ્ટની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં રહેલા 4-5 મકાન ક્ષતિગ્રસ્ત થયાં હતા. જો કે, આ બનાવમાં 6 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.