વડોદરાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર એક બાયોપીક ફિલ્મ બની રહી છે જેમાં ગોધરાકાંડનો સેટ વડોદરાના પ્રતાપનગર વર્કશોપ ખાતે ઉભો કરાતાં લોકોમાં ભારે ઉત્તેજના ફેલાઈ છે. પ્રતાપનગર રેલવે વર્કશોપ પાસેની રેલવે લાઈન પર ગોધરાકાંડનો સેટ ઉભો કરી સતત બીજા દિવસે શુટીંગ કરવામાં આવ્યું હતું. ગોધરાકાંડ સમયે સાબરમતી એકસપ્રેસના કોચ નંબર એસ-6ને કેટલાક લોકોના ટોળાં દ્વારા સળગાવી દેવામાં આવ્યું હતું. ગોધરાકાંડની ઘટના નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે દરમિયાન બની હતી.
જેથી મોદીની બાયોપીક ફિલ્મમાં ગોધરાકાંડના સીનને લેવા પ્રતાપનગર વર્કશોપ ખાતેની રેલવે લાઈન પર મોકડ્રીલ કરવા માટેની ટ્રેનનો કોચ મુકવામાં આવ્યો છે. જેમાં ટ્રેનની બારીઓ પર રૂ નાખી તેને સળગાવવામાં આવે છે જેને કેમેરામાં શુટીંગ કરવામાં આવે છે. ફિલ્મ બનાવવા માટે તમામ ક્રુ મેમ્બર્સ સતત બે દિવસથી શુટીંગ કરી રહ્યા છે.
ગોધરાકાંડનો જે સેટ ટ્રેન મુકી ઉભો કર્યો છે ત્યાં જ કોર્પોરેશનની આવાસ યોજના આવેલી છે. જેમાં દરેક ધર્મના લોકો વસવાટ કરે છે જેમાં ગોધરાકાંડની શુટીંગ કરાતા લોકોની યાદ ફરી એકવાર તાજી થઈ છે. લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. પ્રધાનમંત્રીની બાયોપીક ફિલ્મનું નિર્માણ ઓ માય ગોડના ડાયરેકટર ઉમેશ શુક્લા કરી રહ્યા છે.
ગોધરાકાંડ બાદ નરેન્દ્ર મોદી સ્થળ વિઝીટ કરવા ગયા હતા જેથી ફિલ્મનો જે સેટ ઉભો કરાયો છે ત્યાં પણ મુખ્યમંત્રીના વાહનોનો કાફલો મુકાયો છે. ગોધરાકાંડનો સેટ ઉભો કરી ફિલ્મની શુટીંગ ચાલતી હોવાથી રેલવે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. સાથે જ વર્કશોપની આસપાસની જગ્યા સામાન્ય લોકો માટે બંધ કરાઈ છે. લોકોએ ફિલ્મનું શુટીંગ કોઈ સુમસામ જગ્યા પર કરવું જોઈએ તેવી માંગ કરી છે.
મહત્વની વાત છે કે નરેન્દ્ર મોદી પર બની રહેલી ફિલ્મ લોકસભા ચૂંટણી પહેલા રીલીઝ કરાય તેવી પુરેપુરી શક્યતા છે. ત્યારે ફિલ્મમાં ગોધરાકાંડના સીનને લઈ આવનારા સમયમાં મોટો વિવાદ ઉભો થાય તો નવાઈ નહીં.