છેલ્લી ઘડીએ અમદાવાદની નરોડા બેઠકના કોંગ્રેસ-NCPના સંયુક્ત ઉમેદવાર નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દેતા માહોલ ગરમાયો છે.
અમદાવાદથી નરોડા બેઠક પર મોટો ઉલટફેર
નરોડા બેઠક પર કોંગ્રેસે NCP સાથે કર્યું છે ગઠબંધન
છેલ્લી ઘડીએ નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાનો કર્યો ઈનકાર
ગુજરાતમાં બરાબરનો ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે અડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એવામાં અમદાવાદની નરોડા બેઠક પર મોટો ઉલટફેર જોવા મળ્યો છે. નરોડા બેઠક પર કોંગ્રેસે NCP સાથે ગઠબંધન કર્યું છે. ત્યારે છેલ્લી ઘડીએ NCPના ઉમેદવાર નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાનો ઈનકાર કરી દેતા રાજકીય માહોલ ગરમાયો છે.
અમદાવાદની નરોડા બેઠક પર મોટો ઉલટફેર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. એવામાં છેલ્લી ઘડીએ નરોડા બેઠક પર કોંગ્રેસ-NCPનો પેચ ફસાયો છે. આ બેઠક પર કોંગ્રેસ અને NCPએ ગઠબંધન કર્યું છે. NCPએ નિકુલસિંહ તોમરને ટિકિટ આપી છે. ત્યારે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દેતા માહોલ ગરમાયો છે.
ઉમેદવારના નામ પર મંથન શરૂ
નિકુલસિંહે ચૂંટણી લડવાનો ઇનકાર કરતા ફરી કોંગ્રેસ-એનસીપીએ ઉમેદવારના નામ પર મંથન શરૂ કર્યું છે. NCP સિંધી સમાજમાંથી ઉમેદવારને ટિકિટ આપી શકે છે. કોંગ્રેસ-NCPના સંયુક્ત ઉમેદવાર મેઘરાજ દોડવાણી બની શકે છે.
NCPમાંથી ચૂંટણી લડવી હોય તો આપવું પડે રાજીનામું
નિકુલસિંહ તોમર કોંગ્રેસના કોર્પોરેટર છે, નિકુલસિંહને ચૂંટણી લડવી હોય તો AMCના કોર્પોરેટર પદેથી રાજીનામું આપવું પડે એમ હોવાથી તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. હવે નરોડા બેઠક પર પેચ ફસાયો છે.
ત્રણ બેઠક પર NCP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન
આપને જણાવી દઈએ કે, NCP અને કોંગ્રેસ વચ્ચે ત્રણ બેઠક પર ગઠબંધન કરવામાં આવ્યું છે. ઉમરેઠ, અમદાવાદ (નરોડા) અને દેવગઢ બારીયા વિધાનસભા પર NCP અને કોંગ્રેસનું ગઠબંધન થયું છે. જેથી આ ત્રણ બેઠક પર NCPના ઉમેદવારો જ ચૂંટણી લડશે. અમદાવાદની નરોડા બેઠક પર ભાજપે ડૉ. પાયલ કુકરાણીને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ ઓમપ્રકાશ તિવારીને ચૂંટણીના મેદાનામાં ઉતાર્યા છે.
આ બેઠક પર છેલ્લા ત્રણ દાયકાથી ભાજપનો કબજો
2017ના વિધાનસભા ચૂંટણીમાં નરોડા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બલરામ થાવાણીએ કોંગ્રેસના ઉમેદવાર ઓમપ્રકાશ તિવારીને હરાવ્યા હતા. 2012માં પણ ભાજપના ઉમેદવાર ડૉ. નિર્મલાબેન વાઘવાણીએ કોંગ્રેસના ઉમેદવાર ભગવાન ભરવાડને 58,352 મતથી હરાવ્યા હતા.