ચાણક્યપુરી રેલવે ફાટક પાસેથી મળી આવેલ યુવકના મૃતદેહ મામલે ચોકાવનારો ખુલાસો, પ્રેમ સંબંધમાં યુવકને માર મારવા માટે સોપારી આપવામાં આવી હતી
રાજેન્દ્ર નવલની હત્યા પ્રેમ પ્રકરણમાં કરાઈ
યુવતીના ભાઇએ આપી હતી સોપારી
આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો
અમદાવાદ શહેરના ચાણક્યપુરી રેલવે ફાટક પાસેથી મળી આવેલ યુવકના મૃતદેહ મામલે ચોકાવનારો ખુલાસો થયો છે. યુવકની હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમની પૂછપરછમાં સામે આવ્યું છે કે પ્રેમ સંબંધમાં યુવકને માર મારવા માટે સોપારી આપવામાં આવી હતી.
રાજેન્દ્ર નવલ હત્યા કેસમાં ખુલાસો
શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલ્વે ટ્રેક પરથી લોહીથી લથબથ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસએ અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી હતી. જો કે તપાસ દરમિયાન જ્યાં મૃતદેહ મળી આવ્યો હતો તેની નજીકમાં યુવકનું જેકેટ અને લોહીના નીશાનો મળી આવ્યા હતાં. જેથી પરિવારજનોએ આ અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાની આશંકા વ્યક્ત કરી હતી. એવામાં પોલીસને એક સીસીટીવી ફુટેજ પણ હાથ લાગ્યા હતાં. જેમાં ત્રણ યુવાનો મૃતક રાજેન્દ્ર નવલને ચાણક્યપુરી સેક્ટર 3 ફેશન કીંગ નામની દુકાન પાસે માર મારી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસએ આ ત્રણેય યુવાનોની પૂછપરછ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
પ્રેમ પ્રકરણમાં રાજેન્દ્ર નવલની હત્યા
પોલીસએ વિજય ભરવાડ, અનમોલ યાદવ, અને પ્રવીણ પુરબીયા નામના આરોપીની ધરપકડ કરી છે. જેની પૂછપરછમાં સામે આવ્યું છે કે પ્રેમ સંબંધમાં આ ત્રણેય આરોપીઓને મૃતક રાજેન્દ્ર નવલને માર મારવાની સોપારી આપવામાં આવી હતી. જેના બદલામાં તેઓને રૂપીયા 50 હજાર મળવાના હતાં. જેથી તેઓએ રાજેન્દ્રને ચાણક્યપુરી ખાતે માર માર્યો હતો. બાદમાં તેને સાયન્સ સીટીથી હેબતપુર તરફ જતાં બ્રીજ પાસે લઇ ગયાં હતાં. જ્યાં તેને માર મારતા માથાના ભાગે ગંભીર ઇજા પહોચતાં આરોપીઓએ મૃતદેહ રેલ્વે ટ્રેક પણ ફેંકીને ફરાર થઇ ગયાં હતાં. જો કે સીસીટીવી ફુટેજએ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
યુવતીના ભાઇએ આપી હતી સોપારી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતકને જે યુવતી સાથે પ્રેમસંબંધ હતો તેના ભાઇએ આ સોપારી આપી હતી અને આરોપીઓએ રાજેન્દ્રને માર મારવાનો હતો. હાલમાં પોલીસએ આ સમગ્ર મામલે આરોપીઓની પૂછપરછ શરૂ કરીને આ સિવાય આ ગુનામાં અન્ય કોણ કોણ સામેલ છે. યુવતીના ભાઇનો સંપર્ક આરોપીઓ સાથે કોણે કરાવ્યો હતો અને હકીકતમાં કોઇ રૂપિયાની લેવડ દેવડ થઇ છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.