કોરોના વાઇરસના કહેર વચ્ચે વેક્સિન બનાવવાની દુનિયાના જુદા જુદા દેશો વચ્ચે રીતસરની હોડ જામી છે. વિશ્વ આરોગ્ય સંઘના જણાવ્યા અનુસાર અત્યાર સુધી દુનિયામાં ૧૩૧ વેક્સિન પ્રિ-ક્લિનિકલ સ્ટેજમાં છે. જ્યારે ૧૭ વેક્સિન હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ સુધી પહોંચી ગઇ છે. એક અનુમાન અનુસાર વર્ષના અંત સુધીમાં આપણી પાસે કોવિડ-૧૯ વાઇરસ સામે કામ લેવા એક કારગત વેક્સિન તૈયાર થઇ જશે.
આમ હાલ દુનિયાભરની નજર કોરોના વેક્સિન પર છે. જોકે હજુ ઘણા સંશોધકો અને વિજ્ઞાનીને આ વેક્સિનની સફળતા અંગે શંકા કુશંકાઓ પ્રવર્તે છે. આ ઉપરાંત કોરોના વેક્સિન ખરેખર કયારે તૈયાર થશે તે અંગે પણ મતમતાંતર છે. વેક્સિન તૈયાર કરનારા સંશોધકો અને વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વર્ષના અંત સુધીમાં એટલે કે ડિસેમ્બર સુધીમાં વેક્સિન તૈયાર થઇ જશે, પરંતુ ટોચની આરોગ્ય સંસ્થા વિશ્વ આરોગ્ય સંઘ ભારપૂર્વક જણાવે છે કે ર૦ર૧ સુધી પણ વેક્સિન તૈયાર થવાની કોઇ શક્યતા નથી.
ઓકસફોર્ડ યુનિવર્સિટીમાં ચાલી રહેલ વેક્સિન રિસર્ચમાં મળી સફળતા
આ દરમિયાન કોરોના વાઇરસથી ત્રસ્ત દુનિયા માટે તાજેતરમાં લંડનથી એક ચોંકાવનારી ખુશખબર આવી છે કે કોરોનાની વેક્સિન તૈયાર કરવામાં તેમણે મોટી કામિયાબી હાંસલ કરી લીધી છે. ઓકસફોર્ડ યુનિવર્સિટીમાં ચાલી રહેલ વેક્સિન રિસર્ચ સાથે સંકળાયેલ આ રિપોર્ટમાં એવું જણાવાયું છે કે ૧૦૭૭ લોકો પર આ વેક્સિનના પ્રયોગ બાદ અત્યંત સકારાત્મક અને ઉત્સાહવર્ધક પરિણામો પ્રાપ્ત થયા છે.
સિરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા રસી બનાવવાનું કર્યું શરું
ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કોરોના વેક્સિનને લઈને બીજા તબક્કાની ટ્રાયલ પૂરી થયાના સારા સમાચાર આપ્યા છે. હવે દેશમાં પણ કોરોના વાઈરસની વેક્સિનને લઈને સારા સમાચાર સાંભળવા મળ્યા છે. ઓક્સફોર્ડની આ જ વેક્સિનનું ભારતમાં ઉત્પાદન શરૂ થઈ ગયું છે. આ દિશામાં સિરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાએ અત્યારથી જ વેક્સિન બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. સિરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના વડા અદાર પુનાવાલાએ જણાવ્યું હતું કે આ વેક્સિનમાં ર૦૦ મિલિયન ડોલરને લગાવવાનું કામ એક જ ઝટકામાં કરી દેવામાં આવ્યું છે. આ વેક્સિન નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં ભારતમાં આવી જશે અને ભારતમાં તેની કિંમત રૂ.૧,૦૦૦ની આસપાસ હશે. દેશમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા આ વેક્સિનનાં ઉત્પાદનનું કામ કરી રહી છે. જાણકારી અનુસાર આ વેક્સિનના એક કરોડ ડોઝ બનીને તૈયાર છે. નવેમ્બર સુધી ઓક્સફોર્ડની વેક્સિનના અંતિમ પરિણામ આવવાની આશા છે.
અમેરિકાની વેક્સિનને મોડેરના નામની કંપનીએ તૈયાર કરી
સંશોધકોના જણાવ્યા અનુસાર માનવ ટ્રાયલ બાદ વેક્સિનની અસરથી આ લોકોમાં જે એન્ટીબોડીઝ અને ટી-સેલ્સ બંને બન્યા હતા જે વાઇરસ વિરુદ્ધ પ્રથમ અને બીજા સુરક્ષા કવચ તરીકે કામ કરે છે. આ ઉપરાંત વેક્સિનની કોઇ આડઅસર પણ જોવા મળી નથી. અલબત્ત કેટલાકને ઉધરસ, શરદી અને તાવ જેવાં કેટલાંક સામાન્ય લક્ષણો જોવાં મળ્યાં હતાં, પરંતુ પેરાસિટામોલથી તે કાબૂમાં આવી ગયાં હતાં. આમ વેક્સિનની બાબતમાં ઘણી પ્રગતિ થઇ હોવા છતાં વેક્સિનની સફળતા અને અસરકારકતા અંગે હજુ પણ કેટલાક િવજ્ઞાની, તબીબો અને સંશોધકો દ્વારા શંકા-કુશંકા વ્યકત કરવામાં આવી રહી છે. ખાસ કરીને અમેરિકામાં તૈયાર કરવામાં આવેલ વેક્સિન સામે અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા છે. અમેરિકાની વેક્સિનને મોડેરના નામની કંપનીએ તૈયાર કરી છે.
વેક્સિન અંગે હજુ કોઇ વિજ્ઞાની કે સંશોધક તેની અસરકારકતા અંગે વિશ્વાસપૂર્વક દાવો કરતા નથી
અત્યાર સુધી આ વેક્સિનના ટ્રાયલમાં એવું બહાર આવ્યું છે કે તેમાં ભાગ લેનાર અડધાથી વધુ લોકો ફલૂ જેવાં સંક્રમણનો ભોગ બન્યા છે. હજુ આ વેક્સિનના મોટા પાયે ટ્રાયલ થવાના બાકી છે કે જેમાં એક સાથે ૩૦,૦૦૦ લોકો સામેલ થશે અને વેક્સિનનો શોટ કેટલો કારગત નીવડે છે તે જોવામાં આવશે. વળી કેટલાક વિજ્ઞાનીનું એવું કહેવું છે કે કોઇ પણ જાતની વેક્સિન વગર જ કોરોના વાઇરસ ખતમ થઇ જશે. તેમનું કહેવું છે કે કોવિડ-૧૯ ફલૂ જેવું ઇન્ફેકશન છે અને તેના માટે કોઇ ખાસ વેક્સિનની જરૂર નથી. આમ કોરોના વેક્સિન અંગે હજુ કોઇ વિજ્ઞાની કે સંશોધક તેની અસરકારકતા અંગે વિશ્વાસપૂર્વક દાવો કરતા નથી.