દેશ કે દેશ બહાર વસતા ગુજરાતીઓ વતન પ્રત્યેનું ઋણ અદા કરે તે માટે રાજ્ય સરકારે ‘વતનપ્રેમ યોજના’લાગુ કરી છે.જેમાં દાતાઓ દાન.અને સરકાર અનુદાન આપશે.
રાજ્ય સરકારની વતનપ્રેમ યોજના
પસંદનું કામ,પસંદનું ગામ,સરકારની પણ સહાય
2022ના ડિસેમ્બર સુધીમાં 1 હજાર કરોડના કામની નેમ
ગુજરાતીઓ પોતાના વતન પ્રત્યેનું ઋણ અદા કરે તે માટે ‘વતનપ્રેમ યોજના’ રાજ્ય સરકારે લાગુ કરી છે. દેશમાં કે દેશ બહાર વિશ્વમાં કયાંય પણ વસતા ગુજરાતીઓ પોતાના પસંદગીના ગામમાં પસંદગીનું કામ 60 ટકા દાનથી અને સરકારના 40 ટકા અનુદાનથી કરાવી શકશે. અંતર્ગત રાજ્યના ગામોમાં સર્વાંગી વિવિધ વિકાસના વિવિધ કાર્યો અને ઉત્તમ જનસુવિધા પૂરી પાડવાના હેતુસર ડિસેમ્બર-2022 સુધીમાં રૂ1 હજાર કરોડના કામો હાથ ધરવાની નેમ રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ વ્યક્ત કરી છે. ‘વતનપ્રેમ યોજના’ સોસાયટીની ગવર્નિંગ બોડીની ગાંધીનગરમાં મળેલી પ્રથમ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી આ યોજનાના સુચારૂ અમલીકરણ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
જનભાગીદારીથી વિકાસ
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશમાં કે દેશ બહાર વિશ્વમાં કયાંય પણ વસતા ગુજરાતીઓ ‘વતનપ્રેમ યોજના’ અન્વયે ગુજરાતમાં પોતાની પસંદગીનું ગામ, પોતાની પસંદગીનું કામ, પોતાની પસંદગીની એજન્સી દ્વારા 60 ટકા પોતાના દાન અને બાકીના રાજ્ય સરકારના 40 ટકા અનુદાનથી કરાવી શકે છે. મુખ્યમંત્રીએ રાજ્યના ગામોમાં શાળાઓના ઓરડા નિર્માણના કામોને ‘‘વતનપ્રેમ યોજના"માં અગ્રતા આપવાનું પ્રેરક સૂચન પણ આ ગવર્નિંગ બોડીની બેઠકમાં કર્યુ હતું.
મોડલ શાળાની નેમ
ગ્રામ્ય વિસ્તારોમાં આવી જરૂરિયાતવાળી શાળાઓના ઓરડાઓ વતન પ્રેમ યોજનાના દાતાઓના દાન અને સરકારના સંયુકત અનુદાનથી તૈયાર કરવા અંગે માર્ગદર્શન આપતા ઉમેર્યું હતું કે, 'વતન પ્રેમ' યોજનાના વેબપોર્ટલ ઉપર આવા દરેક ગામની શાળાઓમાં ઓરડાની જરૂરિયાતની વિગતો ઉપલબ્ધ કરાવવા શિક્ષણ વિભાગ સાથે સંકલન કરવાની પણ સૂચનાઓ આપી હતી.
આ વતનપ્રેમ યોજનામાં જે વિવિધ કામોનો સમાવેશ કરવામાં આવેલો છે. તેમાં શાળાના ઓરડાઓ અથવા સ્માર્ટ ક્લાસ, કોમ્યુનિટી હોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, મઘ્યાહન ભોજનનું રસોડું, સ્ટોર રૂમ, પુસ્તકાલય, રમત-ગમત માટે વ્યાયામ શાળાનું મકાન અને સાધનો, સી.સી.ટીવી કેમેરા સર્વેલેન્સ સિસ્ટમ, સ્મશાન ગૃહ, વોટર રિસાયકલિંગ વ્યવસ્થા તથા ગટર, એસ.ટી.પી વગેરે, તળાવ બ્યુટીફિક્શન, એસ.ટી સ્ટેન્ડ, સોલાર એનર્જીથી સ્ટ્રીટ લાઈટ અને પાણીના ટ્યુબ વેલ કૂવાની પાણીની ટાંકીની મોટર ચલાવવાના કામો વગેરે કામો હાથ ધરી શકાશે.
તદ્દન અલાયદી વ્યવસ્થા
‘વતનપ્રેમ યોજના’ના આ પાસાંઓમાં યોજનાના અસરકારક અમલીકરણ માટે પ્રોજેકટ મેનેજમેન્ટ યુનિટની રચના, દાતાઓ સરળતાથી ઓનલાઇન દાન આપી શકે તે માટે રાજ્યકક્ષાએ અલાયદા બેંક એકાઉન્ટ અને પોર્ટલના માધ્યમથી પેમેન્ટની વ્યવસ્થા, પૂર્ણ થયેલા કામના સ્થળે દાતા પ્રત્યે આભાર પ્રગટ કરતી તેમના નામની તકતી મૂકવી ઉપરાંત દાતા દ્વારા સૂચવાયેલા ગામમાં નક્કી થયેલા કામ અને ટાઇપ ડિઝાઇન માટે અલાયદા વેબપોર્ટલની વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કોલ સેન્ટર પણ થશે
એટલું જ નહિ, વી.સી.ઇ.ની વતનપ્રેમ પ્રેરક તરીકેની પસંદગી અને તેના દ્વારા દાતાને સમયાંતરે કામગીરીની જાણકારી આપવાની વ્યવસ્થા તેમજ યોજના સંબંધી પ્રશ્નોના નિવારણ અને માહિતી આદાન-પ્રદાન માટે અલાયદા 24x7 કોલ સેન્ટરની વ્યવસ્થા પણ આ યોજનાના મુખ્ય પાસાંઓમાં સમાવી લેવામાં આવી છે.
કોનો -કોનો સમાવેશ
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાનની આ ગવર્નિંગ બોડીમાં ઉપાધ્યક્ષ તરીકે પંચાયત રાજ્ય મંત્રી તેમજ અન્ય સભ્યોમાં પંચાયત અને નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવો, પાણી પુરવઠા, ગ્રામવિકાસ, માર્ગ મકાન, સાયન્સ ટેકનોલોજી વિભાગના સચિવો ઉપરાંત એન.આર.જી ફાઉન્ડેશનના અધ્યક્ષનો સભ્યો તરીકે તેમજ વિકાસ કમિશનરને સભ્ય સચિવ અને ગ્રામ ક્ષેત્રના વિકાસ કામગીરી સાથે સંકળાયેલા બે પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આમંત્રિત સભ્યો તરીકે સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.
ગાંધીનગરમાં મળેલી ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠકમાં પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર, પંચાયત અને ગ્રામ વિકાસના અધિક મુખ્ય સચિવ વિપૂલ મિત્રા, વિકાસ કમિશનર સંદીપકુમાર, સાયન્સ ટેકનોલોજી સચિવ વિજય નહેરા, નાણાં વિભાગના સચિવ શ્રીમતી મનિષાચંન્દ્રા, મુખ્યમંત્રીના ઓ.એસ.ડી. ડી. એચ. શાહ, પ્રદેશ અગ્રણી ભરતભાઇ પંડયા તેમજ અધિક વિકાસ કમિશનર વિશાલ ગુપ્તા અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. આ તકે યોજનાના મુખ્ય પાસાંઓને સ્પર્શતું પ્રેઝન્ટેશન પણ મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવ્યું હતું