આજે વિધાનસભામાં નાણામંત્રીએ કનુભાઈ દેસાઈએ ગુજરાત સરકારનું વર્ષ 2022-23 માટે 243965 કરોડનું બજેટ જાહેર કર્યું હતું.
કચ્છમાં નર્મદાના વધારા પાણીથી સિંચાઈ માટે રૂ.4369 કરોડની યોજનાને મંજૂરી
સુજલામ સુફલામ યોજના અંતર્ગત રૂ.1600 કરોડની જોગવાઈ
સુક્ષ્મ પિયત પદ્ધતિ માટે 500 કરોડની જોગવાઈ
ગુજરાત બજેટ 2022 આજે રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ 2 લાખ 43 હજાર 965 કરોડ બજેટ રજૂ કર્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યની જીવાદોરી સમી સરદાર સરોવર યોજનાનું કામ મહદંશે પૂર્ણ થતા 69 લાખ હેકટર વિસ્તારમાં સિંચાઇ સુવિધા ઉપલબ્ધ થઇ સમગ્ર રાજ્યને જળ સુરક્ષાનું કવચ મળ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજનાના 1371 કિલોમીટર લંબાઈના 24 પેકેજની કામગીરી પૂર્ણ થયેલ છે. જયારે 1150 કિલોમીટર પાઇપલાઇનના 7 પેકેજોના કામો પ્રગતિ હેઠળ છે. આ કામગીરીથી 53 જળાશયો, 130 જેટલા તળાવો અને 800 કરતાં વધુ ચેકડેમોમાં નર્મદાના પાવન નીર વહેવડાવવામાં આવેલા છે. જેને લઈને રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, ભાવનગર જેવા શહેરોને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયોને નર્મદા યોજનાના પાણીથી ભરતા આ શહેરોની પાણીની સમસ્યાનો મહદંશે ઉકેલ આવેલ છે. આ યોજના માટે સરકારે 710 કરોડ જોગવાઈ કરી છે
કચ્છમાં નર્મદાના વધારા પાણીથી સિંચાઈ માટે રૂ.4369 કરોડની યોજનાને મંજૂરી
બજેટમાં કચ્છ વિસ્તારમાં નર્મદાના પૂરના વધારાના 1 મિલિયન એકર ફીટ પાણીથી સિંચાઇ સુવિધાઓના આયોજન માટે રૂ.4369 કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવેલ છે. આ યોજનાના પ્રથમ તબક્કામાં કચ્છ જિલ્લાના 6 તાલુકાના અંદાજે 1.14 લાખ હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. આ યોજના માટે રૂ. 272 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ
કચ્છમાં આગામી પાંચ વર્ષમાં રૂ. 350 કરોડના ખર્ચે મોટા ચેકડેમો અને પાણી સંગ્રહ માટેના હાઈડ્રોલીક સ્ટ્રક્ચરો તબક્કાવાર બનાવવાનું આયોજન છે.
સુજલામ સુફલામ યોજના અંતર્ગત રૂ.1600 કરોડની જોગવાઈ
તેમજ સુજલામ સુફલામ યોજના અંતર્ગત નર્મદા આધારિત રૂ. 1600 કરોડની કસરા દાંતીવાડા પાઈપલાઈનની કામગીરી થકી પાટણ અને બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોને પૂરક સિંચાઇનો લાભ આપવા જોગવાઈ રૂ.93 કરોડ તેમજ બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાખણી, ડીસા અને દાંતીવાડા તાલુકાના વિસ્તારોને પૂરક સિંચાઈનો લાભ આપવા પ્રગતિ હેઠળની થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈન માટે જોગવાઈ રૂ. 70 કરોડ ઉપરાંત વાત્રક નદીમાંથી અરવલ્લી જિલ્લાના માલપુર, મેઘરજ અને મોડાસા તાલુકાઓના 72 તળાવો થકી સિંચાઇનો લાભ આપવા માટે રૂ. 186 કરોડની યોજના અને શામળાજી પાસે આવેલ મેશ્વો જળાશયમાંથી પાણી ઉદવહન કરી ભિલોડા તથા મેઘરજ તાલુકાના 30 તળાવોથી સિંચાઇનો લાભ આપવા માટે રૂ. 75 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
સાબરમતી નદી હીરપુરા, વાસણા બેરેજ માટે 35 કરોડની જોગવાઈ
બજેટમાં સાબરમતી નદી કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી રહેલ હીરપુરા અને વાસણા બેરેજ માટે જોગવાઇ રૂ. 35 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ અમદાવાદના નળકાંઠાના વિસ્તારોને સિંચાઇનું પાણી આપવા માટે 25 કરોડની જોગાવાઈ કરવામાં આવી છે. આ સાથે દ.ગુજરાતની નદીઓ પર ચેકડેમ, બેરેજ યોજના માટે 35 કરોડ, થરાદથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન પહોંચાડવા માટે 70 કરોડ , અરવલ્લીના 102 તળાવ ભરવા માટે 45 કરોડ અને ધરોડ ડેમને પ્રવાસન તરીકે વિકસાવવા માટે 30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
સુક્ષ્મ પિયત પદ્ધતિ માટે 500 કરોડની જોગવાઈ
ગુજરાતે સૂક્ષ્મ સિંચાઇના ક્ષેત્રે પહેલ કરી નોંધપાત્ર પ્રગતિ કરેલ છે. આ પદ્ધતિથી પાણીના કરકસરભર્યા વપરાશ સાથે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. છેલ્લાં બે દશકમાં અંદાજે 21 લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ પિયત પદ્ધતિ પ્રસ્થાપિત કરી 13 લાખ ખેડૂતોને લાભ આપવામાં આવેલ છે. આગામી વર્ષમાં વધુ 1 લાખ હેકટરમાં આ યોજનાનો વ્યાપ વધારવા માટે રૂ. 500 કરોડ જોગવાઇ કરાઈ છે