શહેરમાં વધતા પશુના ત્રાસ સાથે કૂતરાઓનો ત્રાસ પણ વધ્યો
ગુજરાતમાં રખડતાં શ્વાનનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. સુરત બાદ હવે મહેસાણામાં એક બાળકીને રખડતાં કૂતરાંએ કરડી ખાધી હતી. વિગતો મુજબ શહેરના ટીબી રોડ પરની એક સોસાયટીમાં એક બાળકી રમી હતી તે દરમિયાન રખડતાં કૂતરાંએ તેને બચકાં ભરી ઘાયલ કરી હતી. આ તરફ ઇજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
મહેસાણા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતાં ઢોર અને કૂતરાંનો ત્રાસ વધતો હોવાનું સામે આવ્યું છે. મહેસાણાના ટીબી રોડ પર સન્હકુંજ સોસાયટીમાં 9 વર્ષની બાળકી રાજનંદિની દિનેશભાઈ મહેશ્વરી રમી રહી હતી. આ દરમિયાન અચાનક એક રખડતાં કૂતરાંએ રાજનંદીનીને બટકું ભરી ઇજાગ્રસ્ત કરી હતી. જેમાં બાળકીના હાથની ટચલી આંગળીએ રખડતાં કૂતરાંએ બચકું ભરી લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં
મહેસાણા જિલ્લામાં અગાઉ પણ રખડતાં ઢોર અને કૂતરાંઓએ સામાન્ય જનતા અને બાળકો પર હુમલા કર્યાની ઘટનાઓ સામે આવી છે. જોકે તાજેતરમાં ટીબી રોડ વિસ્તારની ઘટનાને લઈ પણ પાલિકા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. મહત્વનું છે કે, આ બધી ઘટનાઓ વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે, શું શહેરમાં રખડતાં કૂતરાઓ પકડવા પાલિકા પાસે કોઈ જ વ્યવસ્થા નહી? કયા સુધી સામાન્ય જનતા આવી રીતે રખડતાં પશુઓ કે કૂતરાંઓના હુમલાનો ભોગ બનતી રહેશે?
સુરતમાં દોઢ વર્ષી બાળકીને કુતરાએ 40 કરતાં વધુ બચકાં ભર્યા
સુરતના ખજોદ વિસ્તારમાં સુરતના ડાયમંડ બુર્સની પાછળ રહેતા કામદારો પૈકી એક પરિવારની બાળકી ઘર પાસે એકલી જ ઊભી હતી. આ દરમિયાન ઘર પાસે ઊભેલી બાળકી ઉપર એકાએક જ 3 શ્વાનોએ ઉપર હુમલો કરી દીધો હતો. બાળકીને 40 કરતાં વધુ બચકાં ભરી લેવાતાં માસૂમની હાલત ગંભીર થઈ ગઈ હતી.
સુરતમાં ડોગ બાઇટની ઘટનામાં સતત વધારો
વિગતો મુજબ સુરતમાં 15 દિવસમાં ડોગ બાઈટના 477 કેસ સામે આવ્યા છે. મહત્વનું છે કે, ફેબ્રુઆરીમાં નોંધાયેલા 477 કેસ પૈકી 22 કેસ ગંભીર છે. માહિતી મુજબ જાન્યુઆરી 2023 માં 1205 લોકોને કુતરુ કરડ્યું હતું. વર્ષ 2018માં સિવિલમાં 9,944 અને સ્મીમેરમાં 7154 કેસ નોંધાયા તો વર્ષ 2019માં સિવિલમાં 11099,સ્મીમેરમાં 7375 કેસ નોંધાયા હતા. આ સાથે વર્ષ 2020 માં સિવિલમાં 7124 સ્મીમેરમાં 5264 કેસ, વર્ષ 2021 માં સિવિલમાં 8,249 અને સ્મીમેરમાં 5431 કેસ અને વર્ષ 2022માં સિવિલમાં 6810 અને સ્મીમેરમાં 5298 કેસ નોંધાયા હતા. મહત્વનું છે કે, શ્વાન માસુમ બાળકોને પોતાનું નિશાન બનાવી રહ્યો છે. આ તરફ બાળકોને શ્વાન નિશાન બનાવતા વાલીઓમાં ચિંતાનો માહોલ છે.