ઇન્ડોનેશિયામાં આજરોજ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 6.9 નોંધવામાં આવી છે. જો કે, અચાનક આવેલ ભૂકંપને પગલે કોઇપણ પ્રકારનું નુકસાન થયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા નથી. ભૂકંપને પગલે નજીકના કાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ઇન્ડોનેશિયામાં વારંવાર ભૂકંપના આંચકાઓ આવતા રહે છે. આ પહેલા 24 જૂનના રોજ ઇન્ડોનેશિયાના મલકુ પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે તેની તીવ્રતા 7.7 નોંધવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ મલકુ બરતદયાથી 245 કિલોમીટર દુર આવેલ સમુદ્રના પેટાળમાં 231 કિલોમીટર ઉંડે નોંધવામાં આવ્યું હતું.
ઇન્ડોનેશિયામાં જ કેમ તબાહી મચાવે છે ભૂકંપ અને સુનામી
ઇન્ડોનેશિયામાં સતત આવી રહેલા ભૂકંપના આંચકા તેમજ સુનામીને લઇને લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે ઇન્ડોનેશિયામાં જ કેમ ભૂકંપ અને સુનામી તબાહી મચાવી રહ્યાં છે? આ દેશમાં સૌથી વધુ કુદરતી આફતો કેમ આવે છે?
જેનું મુખ્ય કારણ છે કે આ દેશ 'રિંગ ઓફ ફાયર' પર આવેલ છે. અહીંની ધરતીની નીચે રહેલ ટેક્ટોનિક પ્લેટ્સ અંદરો-અંદર વધારે ટકરાઇ છે, જેના કારણે ભૂકંપ અને જ્વાળામુકી જેવી ઘટના ઘટતી હોય છે. ગત વર્ષે પણ અહીં ઘણી બધી વખત ભૂકંપના આંચકા આવ્યાં જેમાં વધારે લોકોનાં મોત નિપજ્યાં હતા.