આઝાદીના અમૃત મહોત્સવને ધ્યાને રાખી બનાવવામાં આવી રાખડી, 400 ફૂટ લાંબી રાખડીમાં 75 ક્રાંતિવીરોના ફોટાને આવરી લેવાયા
અમદાવાદમાં બનાવવામાં આવી 400 ફૂટ લાંબી રાખડી
આઝાદીના અમૃત મહોત્સવને ધ્યાને રાખી બનાવવામાં આવી રાખડી
35 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકોએ બનાવી લાંબી રાખડી
ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના અવસર પર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો સેલિબ્રેટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ વખતે 15મી ઑગષ્ટે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત 'હર ઘર તિરંગા' અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તો બીજી તરફ રક્ષાબંધન પર્વને લઇને પણ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.
અમદાવાદમાં 400 ફૂટ લાંબી રાખડી બનાવી
આઝાદીના અમૃત મહોત્સવને ધ્યાને રાખીને અમદાવાદમાં 400 ફૂટ લાંબી રાખડી બનાવવામાં આવી. 35 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકો દ્વારા આ રાખડી બનાવવામાં આવી જેની પાછળ 15 દિવસ કરતા પણ વધારે સમય લાગ્યો. રાખડીમાં ખાસ 75 ક્રાંતિકારી અને ક્રાંતિવીરોના ફોટા સાથે રાખડી બનાવાઇ. સમાજમાં જાગૃતતા લાવવા માટે અલગ અલગ વિષય પર રાખડી બનવવામાં આવી છે.
ભુયંગદેવમાં આવેલી શાળાએ બનાવી રાખડી
ભુયંગદેવ ચાર રસ્તા પાસે આવેલી સાધના વિનય વિદ્યામંદિરના 35 કરતા વધારે વિદ્યાર્થીઓ દ્વારા આ રાખડી બનાવવામાં આવી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ શાળા દ્વારા વિવિધ વિષયો જેવા કે સ્વચ્છતા અભિયાન, વાંચે ગુજરાત, ભણશે ગુજરાતની થીમ શહીદ વીર જવાનો સહિતના વિષયો પર પણ રાખડી બનાવવામાં આવી હતી.
સુરતમાં યોજાઇ તિરંગા યાત્રા
4 ઑગષ્ટના રોજ ગુજરાતના સુરતમાં તિરંગા યાત્રાની શરૂઆત થઇ હતી.બે કિલોમીટર લાંબી તિરંગા પદયાત્રાનું આયોજન કરાયું હતું. આ પદયાત્રાને ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવી. સુરતની આ પદયાત્રાના કાર્યક્રમમાં CR પાટીલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, દર્શના જરદોષ, પુર્ણેશ મોદી સહિત કેન્દ્ર સરકારના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.સુરતની 'હર ઘર તિરંગા પદયાત્રા'માં નિવૃત્ત સૈનિકો પણ સામેલ થયા હતા. એ સિવાય અનેક વિદ્યાર્થીઓ, ફાયરબ્રિગેડ, પોલીસ, પોલીસ બેન્ડ અને NCC પણ આ પદયાત્રામાં સામેલ થયા હતા. હજારો વિદ્યાર્થીઓ પદયાત્રામાં જોડાવવા લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા.
ઘાટલોડિયામાં યોજાઇ તિરંગા યાત્રા
ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના અવસર પર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત 'હર ઘર તિરંગા' અભિયાનની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદના ઘાટલોડિયા ખાતે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું.અમદાવાદ ખાતે યોજવામાં આવેલી તિરંગા યાત્રામાં જ્ઞાનદા સ્કૂલની વિદ્યાર્થીનીઓએ 1552 ફૂટ લાંબા તિરંગા સાથે દેશપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી.
3થી 15મી ઓગસ્ટ દરમિયાન દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન
ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આ વર્ષે આગામી તા. 13થી 15મી ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો હેતુ દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુ ને વધુ બળવત્તર બને અને દરેક નાગરિકના મનમાં પોતાના દેશ માટે ગર્વ સાથે દેશપ્રેમ વધે તેવો છે.
www.harghartiranga.com વેબસાઈટ શરુ કરી
આ અભિયાન અંતર્ગત સંસ્કૃતિ મંત્રાલય દ્વારા www.harghartiranga.com વેબસાઈટ શરુ કરાઈ છે. આ વેબસાઈટ પર નાગરિકોએ તેમના યોગદાનને ચિહ્નિત કરવા માટે નામ અને નંબર લખ્યા બાદ લોગ ઈન કરીને પોતાના સરનામા પર વર્ચ્યુઅલ ફ્લેગ પિન કરવાનો રહેશે જે બાદ તેમના લોકેશન પર એક વર્ચ્યુઅલ ફ્લેગ ભારતના નકશામાં દેખાશે.