ગ્રામીણ વિકાસ મંત્રાલયના મેનેજમેન્ટ ઇન્ફોર્મેશનના આંકડા સામે આવતા મનરેગામાં થયેલી ગેરરીતિઓ બહાર આવી.
મનરેગામાં કરોડો રૂપિયાનું કૌભાંડ
વિવિધ યોજનામાં સામે આવી ગેરરીતિ
સૌથી વધુ તામિલનાડુમાં કૌભાંડ થયું, ગુજરાતનું પણ નામ
છેલ્લા 4 વર્ષમાં મનરેગાની વિવિધ યોજનામાં મોટા પાયે કૌભાંડ આચારાઈ રહ્યા છે. મનરેગામાં 935 કરોડનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચ્યો છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયના મેનેજમેન્ટ ઇન્ફોર્મેશનના આંકડામાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં દેશના વિવિધ રાજ્યોમાં કૌભાંડ થયા હોવાનું ઓડિટમાં સામે આવ્યું છે. જેમાં ગુજરાતનું નામ પણ બાકાત નથી. તમિલનાડુમાં સૌથી વધુ 245 કરોડનું કૌભાંડ થયું છે. જ્યારે ગુજરાત, દીવ-દમણ, કર્ણાટકમાં પણ મનરેગા કૌભાંડ થયું હોવાનું ઓડિટ રિપોર્ટમાં સામે આવ્યું છે. પશ્ચિમ બંગાળ અને ઝારખંડ સહિતના રાજ્યોમાં પણ મનરેગામાં મળતીયાઓ ફાવ્યા છે.
કેવી રીતે થયો કૌભાંડનો પર્દાફાશ?
કેન્દ્રએ 2020-21માં મનરેગા માટે 1 લાખ 10 હજાર 355. 27 કરોડ રૂપિયા ફાળવ્યા છે. મસમોટી ફાળવાયેલી રકમનો ગેરલાભ ઉઠાવવામાં આવ્યો છે. જેમાં નીચા ભાવના સામાનની ઉચા ભાવે ખરીદી થઈ છે અને મોટા બિલ મૂકી રૂપિયા પાસ કરાવવામાં આવ્યા છે. તો કોઈ રાજ્યમાં ખોટા શ્રમિકો બતાવી ગરીબોને તેમના લાભથી વંચિત રાખી બારોબાર રૂપિયા ચાઉ કરી લેવામાં આવ્યા છે. તો આ તરફ અમુક રાજ્યોમાં ખોટા વેચાણકાર બતાવી ખિસ્સા ભરવામાં આવ્યા છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયના મેનેજમેન્ટ ઇન્ફોર્મેશનના આંકડા સામે દેશવ્યાપી ચાલતા કૌભાંડનો પડદો ઉઠયો છે. ઓડિટ રિપોર્ટ પ્રમાણે મનરેગામાં 935 કરોડનું કૌભાંડ આચારવામાં આવ્યું છે જેમાં અનેક રાજ્યો આ કૌભાંડમાં સંડોવાયેલા છે.
કયા કયા રાજ્યો મનરેગાના કૌભાંડના લિસ્ટમાં?
તમિલનાડુમાં સૌથી વધુ 245 કરોડનું કૌભાંડ થયું છે. આ સિવાય ગુજરાત,કર્ણાટક પણ મનરેગામાં થયેલ ગફલામાં સામેલ છે. પશ્ચિમ બંગાળ અને ઝારખંડ પણ મોટા પાયે ગેરરીતિ આચરી સરકારી તિજોરી ખાલી કરવાના ખેલ થયા છે, અને જરૂરિયાત વાળા ગરીબોને પોતાના હક્કથી વંચિત રાખવામાં આવ્યા છે. ઓડિટ રિપોર્ટમાં થયેલા કૌભાંડના ધડાકાબાદ અનેક રાજ્યોમાં તપાસના રેલા પહોચ્યાં છે જેમાં મોટા નેતા સહિત અનેક અધિકારીઓ સુધી કૌભાંડનો રેલો પહોંચવાની શક્યતા છે.
આ રાજ્યોમાં મનરેગામાં ન મળી કોઈ ગરબડ
ઓડિટ વિભાગના આંકડા પ્રમાણે રાજસ્થાન, કેરળ, અરુણાચલ પ્રદેશ, ગોવા, લદ્દાખ, અંદમાંન અને નિકોબાર, લક્ષદ્વીપ,પુદુચેરી, દાદરા અને નગર હવેલી, તેમજ દીવ જેવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મનરેગામાં કોઈ ગરબડી સામે આવી નથી.
શું છે મનરેગા યોજના
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરંટી અધિનિયમ MGNREGA ભારતમાં લાગુ ગરીબ લોકોને રોજગાર આપતી યોજના છે, જે 7 સપ્ટેમ્બર 2005માં લાગુ કરવામાં આવી હતી. આ યોજના વર્ષ દરમિયાન કોઈ પણ ગ્રામીણ પરિવારને 100 દિવસની રોજગારી આપવાનું વચન આપે છે. જેના માટે મજૂરોને દિવસ દીઠ 220 રૂપિયાની મજૂરી આપવામાં આવે છે.