રાજસ્થાનના કોટા સ્થિત જે.કે. લોન હોસ્પિટલમાં છેલ્લા પાંચ દિવસમાં વધુ ૧૪ શિશુઓનાં મોત થવાથી આ મહિનામાં મૃતક બાળકોની સંખ્યા વધીને ૯૧ થઈ ગઈ છે. હોસ્પિટલના નવનિયુક્ત અધિક્ષક સુરેશ દુલારાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલના એનઆઈસીયુ અને પીઆઈસીયુ વોર્ડમાં ૨૫ ડિસેમ્બરથી ૨૯ ડિસેમ્બરની વચ્ચે છ નવજાત શિશુ સહિત કુલ ૧૪ બાળકોનાં મોત થયાં હતાં.
નવજાતના બાળકોનાં રહસ્યમય મોતનો સિલસિલો હજુ પણ જારી
છેલ્લાં પાંચ દિવસમાં વધુ 14 શિશુઓના મોત
આ મહિનામાં મૃતક બાળકોની સંખ્યા વધી 91 થઇ
હોસ્પિટલના બાળ ચિકિત્સા વિભાગના વડાએ કહ્યું કે, તેઓ ૨૫ ડિસેમ્બર સુધીમાં થયેલાં ૭૭ બાળકોનાં મોત પાછળનાં કારણોનું વિશ્લેષણ કરી રહ્યા છે. બાદમાં મૃત્યુ પામેલાં ૧૪ શિશુઓમાં, ચાર ગંભીર ન્યૂમોનિયાથી મૃત્યુ પામ્યા હતા, જ્યારે એકનું મેનિંગોએન્સેફેલાઈટિસથી મૃત્યુ થયું હતું.
ચારનું મૃત્યુ જન્મજાત ન્યૂમોનિયાથી થયું, ત્રણ સેપ્સિસના કારણે અને એક શ્વસનરોગને કારણે મૃત્યુ પામ્યાં હતાં. રાજસ્થાનના તબીબી શિક્ષણ વિભાગના સચિવ વૈભવ ગૈલરિયાએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી કોટાની જે.કે. લોન હોસ્પિટલમાં ૧૦ શિશુઓનાં મોત સંદર્ભે તપાસ ટીમ ૪૮ કલાકમાં પોતાનો રિપોર્ટ આપશે, જેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા બનાવાયેલી ડો.અમરજિત મહેતા, ડો.રામબાબુ શર્મા અને ડો.સુનિલ ભટનાગરની તપાસ ટીમ ૪૮ કલાકમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે અને તેના આધારે બેદરકારી દાખવવામાં આવી હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
દરમિયાન, ભાજપે શિશુઓનાં મોત માટે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું છે અને ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડાએ આ મામલાની તપાસ માટે ભાજપના ચાર સાંસદોની એક સમિતિ બનાવી છે.