દેવાંમાં ડૂબેલી જેટ એરવેઝ હવે ગમે તે સમયે બંધ થઇ શકે છે. જેટ એરવેઝની 90% ફ્લાઇટ્સ બંધ કરી દેવામાં આવી છે. ગુરુવારે માત્ર 14 ફ્લાઇટે જ ઉડાન ભરી હતી, જે 123 વિમાનના ફ્લિટના માત્ર 10 % જેટલી જ છે. મોટા ભાગના રૂટ પર જેટ એરવેઝની ફ્લાઇટ્સ બંધ થઇ ગઇ છે. નિષ્ણાતોનું કહેવું છે કે જેટ એરવેઝનું સંકટ વધવાનું મુખ્ય કારણ બેન્કો દ્વારા હજુ સુધી રૂ. 1500 કરોડની મદદ મળી નથી તે છે.
આ ઉપરાંત જેટ એરવેઝે ગુરુવારે રાત્રે પોતાની તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ રદ કરી છે. આમ, અત્યાર સુધીમાં જેટે 19 ફ્લાઇટ્સ સેવામાંથી પાછી ખેંચી લીધી છે.
SBI કેપિટલે જેટ એરવેઝનો સ્ટેક વેચવા બિડિંગ પ્રક્રિયા શરૂ કરી છે, પરંતુ તેને સારો પ્રતિસાદ મળ્યો નથી તેથી 12 એપ્રિલ સુધી સમયમર્યાદા લંબાવવામાં આવી છે. જેટ એરવેઝે પૂર્વોત્તર ભારતમાં પણ પોતાની તમામ સેવા અચોક્કસ મુદત માટે સ્થગિત કરી દીધી છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશને જેટ એરવેઝના સંકટથી પ્રભાવિત થયેલા વિમાની પ્રવાસીઓને રાહત આપવા 8 વિમાનનું રજિસ્ટ્રેશન રદ કરી નાખ્યું છે અને હવે આ વિમાનોનો બીજી એરલાઇન્સમાં ઉપયોગ કરવામાં આવી શકે છે.