ફરી કાચો પાળો બાંધીને પાણી રોકવાનું કામ હાથ ધરાયું
ભાવનગરના તળાજાના દરિયા કાંઠા વિસ્તારના ૧૩ જેટલા ગામોને સિંચાઇ અને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવતો મેથળા ગામે આવેલ મેથળા બંધારા માં ૯૦ ફૂટ મોટું ગાબડું પડી ગયું છે, ભારે વરસાદના કારણે પાણીની પુષ્કળ આવક થતાં બંધારા નો આરસીસી નો પાળો તૂટી જતાં ખેડૂતોએ જાત મહેનતે ફાળો ઉઘરાવી ફરી મેથળા બંધારાનું નિર્માણ શરૂ કર્યું હતું અને સિંચાઇ અને પીવાલાયક પાણી દરિયાના પાણી સાથે ભળતા અટકાવવાનું કામ હાથ ધર્યું હતું.
ખેડૂતોએ હિંમત હાર્યા વગર ફરી મેથળા બંધારા નું રીપેરીંગ કાર્ય શરૂ કર્યું
ચોમાસા દરમ્યાન સારો વરસાદ થતાં તળાજા તાલુકાના મેથળા ગામે આવેલ મેથળા બંધારો અનેક વખત ઓવરફ્લો થયો હતો, પાણી ની પુષ્કળ આવકના પગલે ૨૦ કિમી વિસ્તારમાં ફેલાયેલા મેથળા બંધારાની ઉપરથી સતત પાણી વહી રહ્યું હતું જેથી કોંક્રિટ ની બનેલ વોગિનની દીવાલ પાણીનું પ્રેશર સહન ના કરી શકતા ૬ ઓકટોબરની રાત્રે મેથળા બંધારા નો વોગિન નો પાળો અચાનક તૂટી જવા પામ્યો હતો, જેથી બંધારા નું પાણી દરિયા માં વહી રહ્યું છે, આજે ૬ દિવસ વિતવા છતાં બંધારા ના પાણીની જાવક હજુ પણ ચાલુ છે, ત્યારે પોતાની પરસેવાની મહેનત પર આ રીતે પાણી ફરી જતા ખેડૂતોમાં દુઃખની લાગણી પ્રસરી હતી, પરંતુ ખેડૂતોએ હિંમત હાર્યા વગર ફરી મેથળા બંધારા નું રીપેરીંગ કાર્ય શરૂ કરી દીધું અને ફરી એક વખત કાચો પાળો બાંધીને પાણી રોકવાનું કામ હાથ ધર્યું છે.
૨૦૧૮ માં રૂ.૮૬ લાખના ખર્ચે જાત મહેનતે બાંધ્યો હતો મેથળા બંધારો
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મેથળા ગામે આવેલ મેથળા બંધારો કે જે ૧૩ થી વધુ ગામોના ખેડૂતોએ લોકફાળો ઉઘરાવી ૨૦૧૮ માં રૂ.૮૬ લાખના ખર્ચે તૈયાર કર્યો હતો, જેમાં તળાજા પંથકના ૧૨ ગામની વચ્ચેથી પસાર થતી બગડ નદીનું પાણી દરિયામાં વહી જતું હતું પરંતુ ભરતી સમયે દરિયાનું ખારું પાણી આ નદીમાં પરત ફરતું હોય આ નદીના પાણીમાં ખારાશ ભળી જતા આ વિસ્તારની કિંમતી જમીન બિનઉપજાવ બની ગઈ હતી. જેથી આ વિસ્તારના ખેડૂતો દ્વારા સરકાર પાસે બંધારો બાંધી આપવાની લાંબા સમયથી રજૂઆત હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ યોગ્ય પ્રત્યુતર ના મળતા ગામલોકોએ ત્રણ વર્ષ પહેલા લોકફાળો ઉઘરાવી ૮૬ લાખ રૂપિયાના ખર્ચે ૧ કિમી લાંબો આ બંધારો જાતે બાંધી તૈયાર કર્યો હતો.
મીઠા પાણીના સરોવરનું નિર્માણ થયું હતું
માટીનો બંધારો દરિયાના ખારા પાણીને પરત ફરતા અટકાવવામાં સફળ રહ્યો સાથે હજારો હેક્ટર જમીન પર મીઠા પાણીના સરોવરનું નિર્માણ થયું હતું, કુવાઓ ના તળ ઉચા આવી ગયા, આ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા હલ થઇ હતી, ખેતરો અને વાડીઓ ફરી જીવંત બની જતા ચોમાસા ઉપરાંત શિયાળુ અને બાદમાં ઉનાળુ પાક પણ ખેડૂતો લઇ શકતા હતા જે આ વિસ્તારના ખેડૂતો માટે ફાયદારૂપ બની ગયું હતું.પણ હવે ફરી બંધારો તૂટતાં ગામલોકોને મોટો ઝટકો લાગ્યો હતો, પણ હિંમત હાર્યા વગર ફરીથી બંધારાને યોગ્ય કરવા હાલ મોટા પાયે રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું છે.