વાપીમાં 9 વર્ષની બાળકીની ગળેફાંસો ખાધેલી હાલતમાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે વાપી ટાઉન પોલીસ દ્વારા સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ બાળકીના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવાયું છે. આ મામલે મોટો ખુલાસો થયો છે.
9 વર્ષની બાળકીના મોત મામલે ખુલાસો
બાળકી સાથે દુષ્કર્મનો કરાયો પ્રયાસ
હત્યા બાદ મૃતદેહને લટકાવી દીધો
વાપીમાંથી નવ વર્ષની બાળકીના મોત મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીની હત્યા કરી દુષ્કર્મનો પ્રયાસ કરાયો હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે પાડોશમાં રહેતા એક શખ્સે જ બાળકીની હત્યા કરી હતી. ત્યારબાદ મૃતદેહ સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં નરાધમે હત્યા બાદ બાળકીના મૃતદેહને લટકાવી લીધો હોવાનો ખુલાસો થયો છે.
શું છે સમગ્ર મામલો?
વાપી ટાઉનમાં ધોરણ-4માં અભ્યાસ કરતી પરપ્રાંતિય પરિવારની 9 વર્ષીય બાળકીનો મૃતદેહ ઘરમાં પંખા સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેને લઇને પરિવાર દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. પરિવાર દ્વારા બાળકી સાથે કાંઇક અજુગતુ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
પોલીસે મૃતદેહનો કબજો લઇને પેનલ પોસ્ટમોર્ટમ માટે સુરત સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઇને આસપાસના લોકોની સઘન પૂછપરછ કરી હતી.
'ઘરમાં બધાની લાડલી હતી'
બાળકીના સંબંધીનું કહેવું છે કે, 'બાળકી ભણવામાં હોશિયાર અને ઘરમાં બધાની લાડલી હતી. તે આવું પગલું ભરી જ ન શકે. બનાવ બાદ દરવાજો ખુલ્લો હતો. અને તેની ઊંચાઇ પણ એટલી નથી કે તે પંખા સુધી પહોંચી શકે.' જેને લઇને પરિવાર કંઇક અજુગતુ થયું હોવાનું શંકા વ્યક્ત કરી હતી. ત્યારે હવે પાડોશમાં રહેતા એક શખ્સે બાળકીની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.