કોરોના મહામારીને પગલે રાજ્યની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ક્યારે શરૂ થાય તે અંગે ભારે અનિશ્ચિતતાઓ છે, શાળાઓ ક્યારે શરૂ થાય તેને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. તેવામાં હવે ગુજરાતના વિદ્યાર્થીઓને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકા ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે શિક્ષણમંત્રીએ પરીક્ષા અને અભ્યાસક્રમ અંગે મોટું નિવેદન આપ્યું હતું.
ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર
ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં ઘટાડો કરાશે
ધોરણ 9ની જૂનમાં અને 10-12ની પરીક્ષા મે 2021એ લેવાશે
કોરોનાના લઇને સમગ્ર દેશમાં લૉકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું. જેને લઇને સમગ્ર દેશમાં શાળા-કોલેજો બંધી હતી. જોકે હવે ધીમે ધીમે લૉકડાઉનને હળવું કરવામાં આવી રહ્યુ છે. કોરોના સંક્રમણ વચ્ચે સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓને લઇને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓના હિતમાં માધ્યમિક શિક્ષણ બોર્ડે 30 ટકા અભ્યાસક્રમ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. શાળાઓને આગામી સમયમાં શિક્ષણ બોર્ડ સૂચન કરશે.
30 ટકા અભ્યાસક્રમમાં કાપ મુદ્દે શિક્ષણમંત્રીનું મહત્વનું નિવેદન
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણ અને પરીક્ષા અંગે જણાવતા કહ્યું કે, ધોરણ 9થી 12માં 30 ટકા કોર્સમાં કાપ મુકવામાં આવ્યો છે. આ વિષયોના નિષ્ણાંતો સાથે ચર્ચા કર્યા બાદ નક્કી કરાયું છે. માધ્યમિક બોર્ડમાં 4 વખત ચર્ચા થઇ. હવે પ્રકરણની ઉપયોગીતાના આધારે નિર્ણય કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ માત્ર 70 ટકા અભ્યાસક્રમ પર ધ્યાન આપે. રદ્દ થયેલા અભ્યાસક્રમમાંથી પ્રશ્નો નહીં પૂછવામાં આવે. અભ્યાસક્રમમાં ઘટાડો એક વર્ષ સુધી લાગુ રહેશે. વધુમાં તેમણે કહ્યું કે, ધોરણ 9ની પરીક્ષા જૂન 2021માં લેવાશે અને ધોરણ 10-12ની પરીક્ષા મે 2021એ લેવાશે.
સરકાર દ્વારા ધીમે ધીમે સરકાર લૉકડાઉનમાંથી અલગ અલગ ક્ષેત્રોને છૂટ આપી રહી છે. પરંતુ સૌથી મોટો શિક્ષણ ક્ષેત્રમાં પેચ ફસાયો છે. કારણ કે, લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ છે અને આ વિદ્યાર્થીઓ શાળા કે કોલેજમાં જાય તો કોરોનાના સંક્રમણમાં વધારો થવાનો ડર વધી જાય છે. કારણ કે, શાળાઓમાં પહેલાથી જ વિદ્યાર્થીઓની ગીચતા હોય છે એવામાં ત્યાં સોશિયલ ડિસ્ટંસિંગ કેવી રીતે જાળવવું તે અગત્યનો સવાલ છે. જોકે હવે અનલૉક 5માં 15 ઓક્ટોબરથી શિક્ષણક્ષેત્રે કેટલીક છૂટછાટો આપવામાં આવશે. જોકે આ અંગે રાજ્ય સરકારો નિર્ણય લેશે.
અનલોક 5ની શિક્ષણક્ષેત્રને લઇને ગાઇડલાઇન
- રાજ્ય સરકારો શાળાઓ કોચિંગ ક્લાસીસ 15 ઓક્ટોબર પછી ફરીથી ખોલવા મુદ્દે નિર્ણય લઇ શકે છે. શૈક્ષણિક સંસ્થાઓને તબક્કાવાર ખોલવાની રહેશે.
- જે શાળાઓને ખુલવાની પરવાનગી આપવામાં આવેલી હશે તેમણે રાજ્યએ તૈયાર કરેલી SOPનું પાલન કરવું પડશે. આ SOP ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લીટરસી, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને બનાવશે.
- ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને કોલેજોને ફરીથી ખોલવાના સમયનો નિર્ણય ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા મળીને લેવામાં આવશે.
- 15 ઓકટોબરથી વિજ્ઞાન અને ટેક્નોલોજી શાખાના PhD અને પોસ્ટ ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓ જેમના માટે લેબ વર્ક અને પ્રયોગો જરૂરી હોય તેમને શરતો સાથે પરવાનગી આપવામાં આવશે.