87 વર્ષીય ઉર્મિલા ચતુર્વેદીએ છેલ્લા 28 વર્ષથી અન્નનો ત્યાગ કર્યો છે. ઉર્મિલા માત્ર દૂધ અને ફળાહાર કરીને રામની ભક્તિમાં લીન રહે છે. તેમણે જ્યારથી મસ્જિદ તોડવામાં આવી હતી ત્યારથી આ સંકલ્પ કર્યો હતો. ઉર્મિલા ચતુર્વેદીએ સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી રામ મંદિરનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી તેઓ ખોરાક ખાશે નહીં. હવે તેમની પ્રતીક્ષાનો અંત આવી રહ્યો છે. 5 ઓગસ્ટે રામ મંદિર નિર્માણનું ભૂમિપૂજન છે. ઉર્મિલા ચતુર્વેદી પણ આ દિવસે તેમનું વ્રત તોડશે. તેમના ઘરે હવે ખુશીનું વાતાવરણ છે.
1992થી નથી મુક્યો અન્નનો દાણો
87 વર્ષના ઉર્મિલા ચતુર્વેદી ભલે તેમની ઉંમરના આ પડાવ ઉપર કમજોર દેખાઈ રહ્યા હોય પરંતુ તેમનો સંકલ્પ દ્રઢ છે. છેલ્લા 27 વર્ષથી તેનો આ કઠોર ઉપવાસ કરી રહ્યા છે કારણ કે તેમનું એકમાત્ર સપનું હતું કે અયોધ્યામાં શ્રીરામનું ભવ્ય મંદિર બને. 1992માં જયારે કારસેવકોએ વિવાદાસ્પદ ઢાંચો તોડ્યો ત્યાર બાદ લોહિયાળ તોફાનો ફાટી નીકળ્યા. ત્યાર જ તેમણે સંકલ્પ કર્યો કે જ્યાં સુધી અયોધ્યા શ્રીરામના મંદિરથી સુશોભિત નહીં થાય ત્યાં સુધી તેનો અનાજ ગ્રહણ નહીં કરે. તેઓ 1992થી ફક્ત ફળાહાર ઉપર જીવે છે.
28 વર્ષથી આ પાવન ઘડીનો ઇંતેજાર હતો
જબલપુરના વિજય નગર વિસ્તારમાં રહેતા ઉર્મિલા ચતુર્વેદીની ઉંમર 87 વર્ષની છે. તેઓ દેશમાં થતી હિંસા જોઈને ખૂબ દુઃખી હતા અને તેમણે નક્કી કર્યું હતું કે દેશમાં જ્યાં સુધી બંને કોમ વચ્ચે ભાઈચારો નહીં સ્થપાય ત્યાં સુધી તેઓ આ કઠિન ઉપવાસ ચાલુ રાખશે. જો કે હવે શાંતિપૂર્ણ રીતે મંદિર બનવા જઈ રહ્યું છે જેથી તેઓ ખૂબ ખુશ છે.
અયોધ્યા જવાની જીદ કરી રહ્યા છે
ઉર્મિલા સતત તેમના પરિવારજનોને રામ મંદિરના નિર્માણના કાર્યક્રમમાં ભાગ લેવા માટે જીદ કરી રહ્યા છે. જો કે તેમના પરિવારજનો કોરોના સંક્રમણ અને લોકડાઉનની સ્થિતિને જોતા તેમને થોડા સમય પછી અયોધ્યા લઇ જશે તેવું આશ્વાસન આપી રહ્યા છે. મોટી ઉંમરના આ રામભક્ત ઉર્મિલાનું કહેવું છે કે ભૂમિ પૂજનના કાર્યક્રમમાં ભલે તેઓ હાજર ન હોય પણ તેઓ મનથી ત્યાં જ હાજર હશે એવું તેઓ દ્રઢપણે માને છે.