દેશભરમાં વધી રહેલા કોરોના વાયરસના નવા કેસ ચિંતાજનક રીતે નોંધાઇ રહ્યા છે. તેમ છતાં માનવી બેદરકાર બની રહ્યો છે. આવો જ એક કિસ્સો તેલંગણામાં બન્યો છે.
દેશમાં કોરોનાની સ્થિતિ વણસી
તેલગંણાના લગ્નપ્રસંગમાં 87 મહેમાનો આવ્યા પોઝિટિવ
ગામમાં જ બનાવવું પડ્યું આઇસોલેશન સેન્ટર
તેલંગણાના નિઝામાબાદ જિલ્લામાં હનમજીપેટ ગામમાં યોજાયેલ લગ્ન બાદ તેમા આવેલ 87 મહેમાનો સોમવારે કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
87 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
ઇન્ડિયા ટૂડેના અહેવાલ પ્રમાણે, આ લગ્નમાં 370 લોકો સામેલ થયાં હતા અને ત્યારબાદ તમામના કોરોના ટેસ્ટ કરવામાં આવતા 87 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ તમામને હાલ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તો ગામમાં આઇસોલેશન સેન્ટર બનાવવું પડ્યું છે. સ્થાનિક આરોગ્ય કર્મચારીઓ પણ સતત આ લોકોના સંપર્કમાં છે.
તમામ માટે ગામમાં બનાવાયું આઇસોલેશન સેન્ટર
લગ્નમાં નજીકના સિદ્ધાપુર ગામના કેટલાક લોકો પણ સામેલ થયાં હતા અને તેઓ પણ કોરોના સંક્રમિત થયાં છે. એમાથી કેટલાક લોકોને નિઝામાબાદની સરકારી જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લા સ્વાસ્થ્ય અધિકારીઓએ સિદ્ધાપુર ગામમાં કોવિડ કેમ્પ શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, તેલંગણાના નિઝામાબાદ જિલ્લામાં કોરોનાના 96 કેસ નોંધાયા છે.
દેશમાં આજે નોંધાયા 1 લાખથી વધુ કેસ
કોરોના વાયરસની બીજી લહેર ભારતમાં વધુને વધુ પ્રચંડ થઈ રહી છે. પ્રતિદિવસ સામે આવી રહેલા આંકડાઓમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના વાયરસે આજે બધા જ રેકોર્ડ તોડી નાંખ્યા છે. રવિવારે દેશમાં કોરોના કેસના આંકડા એક લાખને પાર થઈ ગયા છે.
કોરોના કેસ અપડેટ
ભારતમાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર એક દિવસમાં 1,03,558 કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે જ્યારે 52,847 દર્દીઓ સાજા થયા છે. 24 કલાકમાં 478 લોકોના મોત પણ થયા છે.