બિહારના મુઝફ્ફરપુર કોર્ટમાં સીબીઆઈની બેદરકારીનો એક ચોંકાવનારો મામલો નોંધાતા જજ બરાબરના બગડ્યા હતા.
બિહારના મુઝફ્ફરપુરની સીબીઆઈ કોર્ટનો અજીબ કેસ
પત્રકાર રાજદેવ રંજન હત્યા કેસની સાક્ષી અચાનક આવી કોર્ટમાં
જજને કહ્યું, હુજૂર હું જીવતી છું
બદામી દેવીને સીબીઆઈએ મરેલી જાહેર કરી હતી
કોર્ટે બેદરકારી બદલ સીબીઆઈની કાઢી ઝાટકણી
ભલભલા અટપટા કેસ ઉકેલી કાઢતી દેશની સૌથી મોટી તપાસનીસ એજન્સી સીબીઆઈની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવી શકાતો નથી પરંતુ ક્યારેક આટલી બાહોશ એજન્સી પણ કોઈ કેસમાં ગોથું ખાઈ જતી હોય છે અને એવી બેદરકારી અને ભૂલ કરી બેસતી હોય છે કે કોર્ટમાં તેની જબરી હાંસી ઉડતી હોય છે અને જજનું સાંભળવું પડે તે વધારાનું. આવો જ એક કિસ્સો બિહારના મુઝફ્ફરપુર સીબીઆઈ કોર્ટમાં જોવા મળ્યો છે.
પત્રકાર રાજદેવ રંજન હત્યાની સાક્ષી બદામી દેવીની સીબીઆઈએ જાહેર કરી મરેલી
આ કેસ પત્રકાર રાજદેવ રંજન હત્યા કેસ સાથે જોડાયેલો છે. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા મૃત જાહેર કરાયેલી મહિલા સાક્ષી બદામી દેવી શનિવારે કોર્ટમાં હાજર થઈ હતી અને જજને કહ્યું કે સાહેબ, હું જીવતી છું. મને સીબીઆઇએ મરેલી જાહેર કરી દીધી હતી.
સાક્ષીની વાત સાંભળીને કોર્ટ ચોંકી, જજે સીબીઆઈએને સંભળાવ્યું
ચોંકાવનારી વાત તો એ છે કે સીબીઆઈએ રાજદેવ રંજન કેસની સાક્ષીબદામી દેવીના મોતનો રિપોર્ટ પણ રજૂ કરી દીધો હતો બરાબર તેવે સમયે બદામી દેવી કોર્ટમાં આવ્યાં હતા અને જજને પોતાની હયાતીની સાબિતી આપી ત્યારે જજને સીબીઆઈની બેદરકારી કઠી હતી અને તેમણે સીબીઆઈના વકીલને સંભળાવ્યું હતુ. જજે સીબીઆઈ પાસેથી આ વાતનો ખુલાસો માગ્યો છે.
સીબીઆઈએ રિપોર્ટ દાખલ કરીને બદામી દેવીને મૃત જાહેર કર્યાં હતા
સીબીઆઈએ 24 મેના રોજ કોર્ટમાં એક રિપોર્ટ દાખલ કર્યો હતો, જેમાં બદામી દેવીને મૃત જાહેર કરવામાં આવી હતી. આ માહિતી જ્યારે બદામી દેવીને મળી તો તે ખૂબ જ દુઃખી હતી. જે બાદ આજે તે પોતે કોર્ટમાં હાજર થઈ હતી અને કહ્યું હતું કે, "હું જીવતી છું." મહિલાએ કોર્ટ સમક્ષ પોતાનું આઈકાર્ડ, પાનકાર્ડ, વોટર આઈ કાર્ડ પણ બતાવ્યું હતું. આ અંગે કોર્ટે સખત વાંધો ઉઠાવીને સીબીઆઇને શોકોઝ નોટિસ ફટકારી છે.
બદામી દેવી ઓળખપત્રો લઈને કોર્ટ પહોંચ્યાં
બદામી દેવીએ કહ્યું, "જ્યારે મને ખબર પડી કે સીબીઆઇએ મારા મોતનો રિપોર્ટ કોર્ટમાં દાખલ કર્યો છે, ત્યારે હું ચોંકી ગઇ હતી. તે મારા માટે નિરાશાજનક અને પીડાદાયક હતું. ત્યારબાદ હું મારા વોટર આઈડી કાર્ડ, પાનકાર્ડ અને આધાર કાર્ડ સાથે કોર્ટમાં હાજર થઈ હતી. તેમના વકીલ શરદ સિન્હાએ કહ્યું કે, રાજદેવ રંજનની હત્યામાં દિવંગત સાંસદ મોહમ્મદ શહાબુદ્દીન સહિત આઠ લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. એફઆઈઆર મુજબ શહાબુદ્દીનના નજીકના સાથી લડદાન મિયાંને રાજદેવ રંજનની હત્યાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
જાણો આખો વિવાદ
બિહારના સિવાન જિલ્લામાં 89 વર્ષીય બાદામી રહે છે, આરોપીઓ બાદામી દેવીનું ઘર પચાવી પાડવા માગતા હતા. રાજદેવ રંજન નામના એક પત્રકારે બાદામી દેવીનો આખો કિસ્સો તેમના અખબારમાં છાપ્યો હતો અને આ મુદ્દો ઉઠાવ્યો હતો આથી આરોપીઓએ તેમની હત્યાનું ષડયંત્ર ઘડ્યું હતું અને 13 મે, 2016ના રોજ સીવાનના સ્ટેશન રોડ પર તેમની હત્યા કરી નાખી હતી. બાદામી દેવી આ કેસના એકમાત્ર સાક્ષી હતા. પરંતુ સીબીઆઈએ જેમતેમ કરીને તેમને મરેલા જાહેર કરીને કોર્ટમાં રિપોર્ટ પણ રજૂ કરી દીધો.